ગુજકોસ્ટ અને નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ, ટેકનોલોજી એન્ડ કોમ્યુનિકેશનના સહયોગથી ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર, પાટણ ખાતે આજે 22મી ડિસેમ્બર 2023ના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિષ્ણાત ચર્ચાઓ, ગણિતની કોયડાઓ, ફિલ્મનું સ્ક્રીનીંગ – “જર્ની ઓફ રામાનુજન”, મેથેમેટિક્સ ફોર ધ ફ્યુચર અને ગુજકોસ્ટ દ્વારા વિકસિત ભારત માટે ગણિત પર વિશેષ આઉટરીચ પ્રોગ્રામનું જીવંત પ્રસારણ સામેલ હતું. જેમાં 1200 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જનતાએ ભાગ લીધો હતો.
વિજ્ઞાન કેન્દ્રના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ગણિત દિવસ એ રામાનુજનની મહાન સિદ્ધિઓને યાદ કરવાની અને આપણા રોજિંદા જીવનમાં ગણિતના મહત્વ પર પ્રતિબિંબિત કરવાની તક છે. 3,000 થી વધુ પ્રમેયો સાબિત કરીને તેમને વિશ્વના મહાન ગણિતશાસ્ત્રીઓમાંના એક ગણવામાં આવે છે. યુવા પેઢીને આ ગાણિતિક પ્રતિભાના જીવન અને સુવર્ણ સિદ્ધિઓથી પ્રેરિત કરવા 2012 થી દર વર્ષે 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે.