પાલનપુર શહેરની મધ્યમાં આવેલા જૂના બસ સ્ટેન્ડના નવા બિલ્ડીંગમાં સીસીટીવી કેમેરાના અભાવે મુસાફરોના મોબાઈલ ફોન અને બાઇક ચોરીના બનાવો વધી રહ્યા છે. મુસાફરોની સલામતી માટે એસટી વિભાગ દ્વારા આ બસ સ્ટેન્ડમાં સીસીટીવી લગાવવા મુસાફરો દ્વારા ડેપો મેનેજર અને જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પાલનપુરમાં બજારની મધ્યમાં આવેલા જૂના બસ સ્ટેન્ડનું તાજેતરમાં કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. જોકે, આ નવા બનેલા બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા ન લગાવવાના કારણે લોકોના પર્સ અને મોબાઈલ ફોન ઝડપથી ચોરાઈ જાય છે. સાથે સાથે અહીં પાર્ક કરેલા સ્કૂટર અને બાઇકની ચોરીના બનાવો પણ વધી રહ્યા છે. જોકે, સીસીટીવી કેમેરા ન લગાવવાને કારણે મુસાફરોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. જોકે, શહેરના નવા બસ પોર્ટ પર તાજેતરમાં થયેલી બોલાચાલીમાં સીસીટીવી કેમેરા પોલીસ માટે મહત્વપૂર્ણ સાબિત થયા હતા. ત્યારે ભવિષ્યમાં જૂના બસ સ્ટેન્ડ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જવાબદાર તંત્રને બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા લગાવવા મુસાફરો વતી લેખિત માંગણી કરવામાં આવી છે.