રાજ્ય સરકારના એસટી નિગમ દ્વારા અમદાવાદમાં ચોથા તબક્કાની નવી બસો શરૂ કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ વિવિધ જિલ્લાઓ માટે નવી એસટી બસોનું વિધિવત લોકાર્પણ કર્યું હતું. જેમાં પાલનપુર એસટી ડિવિઝનને સ્લીપર અને મીની લક્ઝરી, 23 નવી એસટી બસો ફાળવવામાં આવી છે. લોકોને મુસાફરી કરવા માટે પૂરતી આરામદાયક બસો ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તબક્કાવાર નવી બસો શરૂ કરવામાં આવી રહી છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના આશીર્વાદથી અમદાવાદમાં વિવિધ જિલ્લાના મુસાફરો માટે આરામદાયક સ્લીપર કોચ અને લક્ઝરી બસો શરૂ કરવામાં આવી હતી. જેમાં બસ ચાલકોને બસોની પ્રતિકાત્મક ચાવીઓ અર્પણ કરવામાં આવી હતી. આમ, આ નવી બસ ફાળવણીમાં પાલનપુર એસટી ડિવિઝનને 23 નવી બસો, પાલનપુર ડેપોને 4 અને 10 સ્લીપર કોચ અને 13 મીની લક્ઝરી બસ અંબાજી, થરાદ અને રાધનપુર ડેપોને ફાળવવામાં આવી છે. આ સાથે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં એસટીની સેવા વધુ સરળ બનશે.