અમદાવાદ.
પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટે ડ્રગ કેસમાં સાક્ષીઓને બોલાવવાની સંજીવ ભટ્ટની અરજી ફગાવી દીધી છે, એમ કહીને કે ટ્રાયલ કોર્ટના આદેશમાં કોઈ ખામી નથી.
શું છે સમગ્ર મામલો?
1996માં જ્યારે સંજીવ ભટ્ટ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા હતા, ત્યારે તેમના કાર્યકાળ દરમિયાન તેમના પર નાર્કોટિક્સનો ખોટો કેસ કરવાનો આરોપ છે.
જેમાં સંજીવ ભટ્ટ પર રાજસ્થાનના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતની પાલનપુરની હોટલમાં ખોટા માદક દ્રવ્યો રાખવાનો આરોપ મુકાયો હતો. આ કેસમાં CID ક્રાઈમે 2018માં પાલનપુરના સંજીવ ભટ્ટ અને તત્કાલીન પીઆઈ વ્યાસની ધરપકડ કરી હતી. જોકે, બાદમાં પાલનપુર કોર્ટે પીઆઇ વ્યાસને 1996ના ડ્રગ્સ કેસમાં સાક્ષી બનાવીને નિર્દોષ છોડી મુકવાની મંજૂરી આપી હતી.
જે બાદ સંજીવ ભટ્ટે આ કેસમાં તેમના વતી કેટલાક સાક્ષીઓને બોલાવવાની પરવાનગી માટે પાલનપુર કોર્ટમાં અરજી કરી હતી. જોકે, પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટની અરજી ફગાવી દીધી હતી. જેથી તેણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કે આજે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખતા કહ્યું હતું કે કાયદાનો દુરુપયોગ કરનારાઓની અરજી સ્વીકાર્ય નથી.