25મી જાન્યુઆરીએ પૂનમના પવિત્ર દિવસે માના જ્યોતિસ્થાન ગબ્બરની “અખંડ જ્યોત”માંથી જ્યોતિનો અંશ લાવવામાં આવશે. આ ઉપરાંત પોષી પૂનમની શોભાયાત્રામાં ગબ્બર પર્વતની આજુબાજુના 51 શક્તિપીઠ મંદિરોમાંથી જ્યોતનો એક ભાગ પ્રગટાવીને અંબાજી મંદિરે લાવવામાં આવશે. ગબ્બર મંદિરમાં પૂજા કર્યા બાદ ગબ્બર મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવે છે. ત્યારબાદ ગબ્બર પર્વત પર નગરજનો અને પંડિતો દ્વારા જ્યોતિનું સ્વાગત કરવામાં આવે છે. અંબાજીના રબારી સમાજ દ્વારા શ્રી દેવેશ્વર મહાદેવને જ્યોતિ અને પ્રસાદ અર્પણ કરવામાં આવશે.
ગબ્બર તરફથી લાવવામાં આવેલી જ્યોત મુખ્ય મંદિરની જ્યોત સાથે ભળી જાય છે. અંબાજી મંદિરના મુખ્ય દ્વાર શક્તિદ્વાર ખાતે “મહા આરતી” કરવામાં આવશે. ત્યાર બાદ માતા અંબા સમગ્ર અંબાજી નગર માર્ગ પર ભક્તોને દર્શન આપવા માટે ગજરાજ પર સવાર થઈને અંબાજી નગરની નગરયાત્રા પર નીકળશે. ભાદરવી પૂનમ જેવા મહા મેળામાં દરેક ગામમાંથી સંઘો આવે છે, અનોખા કલાત્મક રથ, ધજાજીઓ અને પદયાત્રી ભાવિક ભક્તો પગપાળા દર્શન માટે આવે છે. તેવી જ રીતે પોષી પૂનમની શોભાયાત્રામાં પણ મા અંબાના દર્શન કરવા લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે.