મુંબઈઃ ટુ-વ્હીલર નિર્માતા બજાજ ઓટો તાલીમ કેન્દ્રો સ્થાપવા માટે વિવિધ યુનિવર્સિટીઓ અને એન્જિનિયરિંગ કોલેજો સાથે જોડાણ કરશે. મંગળવારે આ માહિતી આપતા કંપનીએ કહ્યું કે આ કેન્દ્રો પર વિદ્યાર્થીઓ તેમની કુશળતા વધારવા માટે પ્રેક્ટિકલ અનુભવ લઈ શકશે. બજાજ ઓટોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘પ્રશિક્ષણ કેન્દ્રો ડિગ્રી અને ડિપ્લોમા પ્રોગ્રામ હેઠળ એન્જિનિયરિંગ સ્નાતકોને અદ્યતન કૌશલ્ય તાલીમ પ્રદાન કરશે, જે ઉત્પાદન ક્ષેત્રે કુશળ કર્મચારીઓની અછતને પહોંચી વળવામાં મદદ કરશે.
બજાજ ઓટો આ પ્રશિક્ષણ કેન્દ્રોને વિશ્વભરના વિવિધ સ્થળોએથી મેળવેલા જરૂરી સાધનસામગ્રી પ્રદાન કરશે અને કંપની પ્રારંભિક તબક્કામાં કાર્યક્રમની કામગીરીનો ખર્ચ ઉઠાવશે. આ તાલીમ ચાર મહત્વપૂર્ણ મોડ્યુલ પર ધ્યાન કેન્દ્રિત કરશે – મેકાટ્રોનિક્સ, મોશન કંટ્રોલ અને સેન્સર ટેકનોલોજી, રોબોટિક્સ અને ઓટોમેશન અને ઇન્ડસ્ટ્રી 4.0 અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ.
બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે જણાવ્યું હતું કે દર વર્ષે 1.2 કરોડથી વધુ લોકો જોબ માર્કેટમાં પ્રવેશ કરે છે. પરંતુ ટેક્નોલોજીમાં ઝડપી પરિવર્તન સાથે, યુવાનોને નોકરી માટે તૈયાર કરવામાં શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે ઘણું અંતર છે. આવી સ્થિતિમાં, અમે સમાજને પાછા આપવાની પરંપરામાં અમારા મુખ્ય કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રોજેક્ટની જાહેરાત કરી રહ્યા છીએ.