નવી દિલ્હી : ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશને ભારતમાં બેરોજગારીને લઈને ચોંકાવનારો રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં 83% યુવાનો બેરોજગાર છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ અને ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ ઈન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024માં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં બેરોજગારી મુખ્યત્વે યુવાનોમાં એક સમસ્યા છે, ખાસ કરીને માધ્યમિક સ્તર અથવા તેનાથી ઉપરનું શિક્ષણ ધરાવતા લોકોમાં, જે સમય જતાં વધતી જાય છે. આ રિપોર્ટને લઈને કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
ILO એ માનવ વિકાસ સંસ્થા (IHD) ના સહયોગથી ‘ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024’ પ્રકાશિત કર્યો છે. જે મુજબ 2022માં કુલ બેરોજગાર વસ્તીમાં બેરોજગાર યુવાનોનો હિસ્સો 82.9% હતો. આ મુજબ ભારતમાં જો 100 લોકો બેરોજગાર છે તો તેમાંથી 83 યુવાનો છે. એટલું જ નહીં પરંતુ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે બેરોજગારોમાં શિક્ષિત લોકોની સંખ્યા વધુ છે.
ભારતમાં બેરોજગારી ઝડપથી વધી રહી છે
ILOના રિપોર્ટ અનુસાર 2000ની સરખામણીમાં હવે બેરોજગારોની સંખ્યા બમણી થઈ ગઈ છે. વર્ષ 2000માં શિક્ષિત યુવા બેરોજગારોની સંખ્યા કુલ યુવા બેરોજગારોના 35.2 ટકા હતી, જે વર્ષ 2022માં વધીને 65.7 ટકા થઈ ગઈ છે. આમાં માત્ર એવા શિક્ષિત યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમણે ઓછામાં ઓછું 10મા ધોરણનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આનો અર્થ એ છે કે વાર્ષિક 7-8 મિલિયન યુવાનો લેબર માર્કેટમાં પ્રવેશ કરી રહ્યા છે. આ સાથે જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2019 થી નિયમિત કામદારો અને સ્વ-રોજગાર ધરાવતા લોકોની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ અહેવાલ જણાવે છે કે ભારતમાં બેરોજગારીની સમસ્યા યુવાનો, ખાસ કરીને શિક્ષિત યુવાનો અને શહેરી વિસ્તારોમાં મહિલાઓમાં વધુને વધુ કેન્દ્રિત બની છે.
આજે 6 વાર મુલાકાત લીધી, 6 મુલાકાત(ઓ).
પોસ્ટ દૃશ્યો: 44