ભોજપુરી સ્ટાર પવન સિંહે બીજેપીના પ્રસ્તાવને ફગાવી દીધો છે અને આસનસોલ લોકસભા સીટ પરથી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. ગયા શનિવારે જ, ભાજપે તેના 195 ઉમેદવારોની યાદીમાં પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી પવન સિંહને તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. પરંતુ ટિકિટ મળ્યાના માત્ર 24 કલાકમાં જ પવન સિંહે ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. તેમણે રવિવારે એટલે કે 3 માર્ચે ટ્વિટ કરીને આ સમગ્ર મામલાની માહિતી આપી હતી.
રવિવારે તેણે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને પોતાનો જવાબ આપ્યો. તેમણે લખ્યું, “હું ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પાર્ટીએ મારા પર વિશ્વાસ કર્યો અને મને આસનસોલથી ઉમેદવાર તરીકે જાહેર કર્યો પરંતુ કેટલાક કારણોસર હું આસનસોલથી ચૂંટણી લડી શકીશ નહીં…” પવન સિંહે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાને પણ તેમની પોસ્ટમાં ટેગ કર્યા છે.