ઉત્તર ભારત બાદ હવે પશ્ચિમ ભારતમાં હવામાનની અસર જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે હાલત ખરાબ છે ત્યારે મુંબઈમાં વરસાદની સ્થિતિ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ અને આસપાસના અનેક વિસ્તારોમાં 2-3 ફૂટ સુધી પાણી ભરાયા છે, હવામાન વિભાગે આગામી થોડા દિવસો સુધી આવું જ વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. મુંબઈ ઉપરાંત થાણે, કલ્યાણ, ડોમ્બિવલી, અંબરનાથ સહિતના અન્ય વિસ્તારો વરસાદને કારણે પ્રભાવિત થયા છે. આ ખરાબ હવામાનને કારણે રસ્તાઓ પર અનેક ફૂટ પાણી ભરાઈ ગયા છે, જેથી ટ્રેનની મુસાફરી પણ મુશ્કેલ બની ગઈ છે. હવે હવામાન વિભાગે શુક્રવારે પણ મુંબઈમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. બીએમસી દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા આંકડાઓમાં બોરીવલીમાં 146 મીમી, કાંદિવલીમાં 133, કોલાબામાં 103 અને ફોર્ટ વિસ્તારમાં 101 મીમી વરસાદ નોંધાયો છે. આ વિસ્તારોમાં સતત વરસાદને કારણે ટ્રેન સેવા લગભગ 15 મિનિટ મોડી ચાલી રહી હતી. આ મુશ્કેલીઓને કારણે BMCએ ગુરુવારે શાળાઓમાં રજા જાહેર કરી હતી. વરસાદને કારણે શુક્રવારે થાણેમાં તમામ સરકારી શાળાઓ અને કોલેજો બંધ રહેશે. હવામાન વિભાગે દિલ્હી, તેલંગાણામાં આગાહી કરી. કર્ણાટક રાજ્યમાં ભારે વરસાદને કારણે અને પુરને કારણે કેટલાક લોકોના મોત પણ થયા હતા.
રાજધાની દિલ્હી દરરોજ એક વળાંક લેતી જોવા મળી રહી છે. ક્યારેક વરસાદ તો ક્યારેક ભેજના કારણે દિલ્હીવાસીઓ પરેશાન છે. ગુરૂવારે પણ ભેજવાળી ગરમીએ લોકોને ત્રસ્ત બનાવી દીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવામાન વિભાગે આજે (શુક્રવાર) માટે મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન દિલ્હીનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. તેલંગાણાના મુખ્ય સચિવ એ શાંતિ કુમારીએ ગુરુવારે રાજ્યમાં સતત ભારે વરસાદને કારણે વહીવટીતંત્રને એલર્ટ કર્યું છે. વરસાદના કારણે નદી-નાળાઓ ઉભરાઈ રહ્યા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો અનેક જગ્યાએ રસ્તાઓને પણ નુકસાન થયું છે. બીજી તરફ, ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, સીએમ કેસીઆરએ શિક્ષણ પ્રધાન પી સબિતા ઈન્દ્ર રેડ્ડીને આજે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવા સૂચના આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ જણાવ્યું કે, મુશળધાર વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 38 લોકોના મોત થયા છે. રાજ્યના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અધિકારીઓએ રાહત અને બચાવ માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.