સ્થાનિક ડેસ્ક: આજે સવારથી સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટના લોધીકામાં પણ ભારે પવન સાથે મુશળધાર વરસાદે તારાજી સર્જી છે. લોધિકાના દેવગામમાં ભારે પવનને કારણે 25થી વધુ થાંભલા પડી જતાં લોકોની મુશ્કેલી વધી છે. ત્યારે મોરબીમાં એક કારખાનામાં ભારે પવનના કારણે 70 પતરા ઉડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ગત રાત્રે વરસાદ અને વાવાઝોડાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.
આ ઉપરાંત ગઈકાલે ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે લોધિકાના કેટલાક ગામોમાં વૃક્ષો પણ પડી ગયા છે. ઘટના અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું કે, વીજ થાંભલા પડી જવાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને લગભગ 15 વર્ષ પછી આવું તોફાન આવ્યું છે.
બીજી તરફ મોરબીમાં પણ વરસાદ અને વાવાઝોડાને કારણે ભારે હાલાકી ભોગવવી પડી છે. નવાગામ રોડ પર આવેલ સોમનાથ ક્રાફ્ટ મિલ નામના કારખાનામાં ભારે પવનના કારણે 70 જેટલા પાન ઉડી ગયા હતા. જોકે, સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી. અગાઉ મોરબીમાં પણ બે-ત્રણ જગ્યાએ હોર્ડિંગ્સ ઉખડી ગયા હતા.