રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળ્યા બાદ બુધવારે રાજ્યના ઘણા સાંસદોએ રાજીનામું આપી દીધું હતું. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ભારતીય જનતા પાર્ટીના આ સાંસદોના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે.
બિરલાએ આજે ગૃહને આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રાજસ્થાનના જયપુર ગ્રામીણથી સાંસદ રાજ્યવર્ધન રાઠોડ અને રાજસમંદથી દિયા કુમારીનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. રાજસ્થાનના આ બંને સાંસદો વિધાનસભાની ચૂંટણી જીત્યા છે.
રાજ્યવર્ધન રાઠોડ જોતવાડાથી અને દિયા કુમારી વિદ્યાધર નગરથી જીત્યા છે. કિરોનીલાલ મીણાએ પણ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. રાજસ્થાનના આ ત્રણેય નેતાઓ ભાજપ તરફથી સીએમ પદના દાવેદાર છે. લોકસભામાંથી રાજ્યવર્ધન રાઠોડ અને દિયા કુમારીનું રાજીનામું સ્વીકારવામાં આવ્યા બાદ લોકો અનેક અટકળો લગાવી રહ્યા છે. લોકો વિચારી રહ્યા છે કે તેમાંથી કોઈ એક મુખ્યમંત્રી બની શકે છે.