(GNS),તા.10
વડોદરા,
વડોદરા હરણી તળાવ બોટ અકસ્માત કેસમાં ત્રણ આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. આરોપી નેહા દોશી, તેજલ દોશી અને જતીન દોશીએ કોર્ટ સમક્ષ જામીન માટે અરજી કરી હતી. જોકે કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. વિશેષ સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપીને જામીન આપવાથી કેસની તપાસ પર વિપરીત અસર પડી શકે છે. પીડિત પરિવારના વકીલે પણ આરોપીને જામીન ન આપવા માટે કોર્ટમાં રજૂઆત કરી હતી. કોર્ટે દલીલો ગ્રાહ્ય રાખી ત્રણેય આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી હતી. આમ, અકસ્માત કેસના ત્રણેય આરોપીઓને હવે જેલમાં જ રહેવું પડશે.
બીજી તરફ વડોદરા હરણી બોટ અકસ્માતના બંને આરોપીઓને પોલીસે રિમાન્ડ દરમિયાન પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ રિમાન્ડ દરમિયાન 5-5 ટકા ભાગીદારો દીપેન અને ધર્મિલની પૂછપરછ કરવામાં આવી હતી. બંનેએ તે જ વર્ષે કોટિયા પ્રોજેક્ટમાં તેમની ભાગીદારી 60 ટકાથી ઘટાડીને 10 ટકા કરી હતી. ભાગીદારી ઘટાડવા પાછળનું કારણ શું હોઈ શકે તેની તપાસ કરવામાં આવી રહી છે.