વડોદરામાં દરિયાઈ પ્રાણીઓની દાણચોરી સામે આવી છે. માહિતીના આધારે વન વિભાગની ટીમે 23 દરિયાઈ જીવોને જપ્ત કર્યા છે. બરાનપુરામાં દરિયાઈ જીવોની દાણચોરી થતી હોવાની બાતમી વન વિભાગની ટીમને મળી હતી. ઘણા સમયથી ધરમસિંહ નામનો વ્યક્તિ દરિયાઈ જીવની દાણચોરી કરતો હોવાની ફરિયાદ ઉઠી હતી. જેના કારણે વન વિભાગની ટીમે બરાનપુરામાં ધરમસિંહ રાણાના ઘરે દરોડો પાડતા ઘરમાંથી કાચબા અને અન્ય 23 દરિયાઈ જીવો મળી આવ્યા હતા.
દરોડા દરમિયાન, પોલીસને કેમિકલમાં ડૂબેલા બે કાચબા અને દરિયાઈ જીવો પણ મળી આવ્યા હતા. હાલ પોલીસે ધરમસિંહ રાણા સામે દરિયાઈ જીવ બચાવવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વન વિભાગે ધરમસિંહ રાણાના ઘરે દરોડો પાડતાં બે જમીન કાચબા મળી આવ્યા હતા. આ સાથે દરિયાઈ ઘોડા, દરિયાઈ કોરલ, જેલી ફિશ, વાટા ફિશ, કરચલો, સ્ટાર ફિશ, દેડકા, ઓક્ટોપસ, મીની શાર્ક વગેરે કેમિકલમાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ તમામને જપ્ત કર્યા બાદ ગુજરાત વન વિભાગ દ્વારા આ પ્રતિબંધિત પ્રાણીઓના રખેવાળ ધરમસિંહ રાણા સામે વન્યજીવ અધિનિયમ-1972 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ધરમસિંહ રાણા આ જીવો ક્યાંથી લાવ્યા, ક્યારે અને શા માટે લાવ્યા? તેની તપાસ કરવામાં આવશે. જે બાદ તેની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.