ગુજરાત સહીત દેશનાં અનેક રાજયોમાં ચોમાસાનાં અતિભારે વરસાદે કહેર સર્જયો છે. સમગ્ર દેશમાં વરસાદી દુર્ઘટનાઓમાં ૧૫૦૦ થી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે. વરસાદી દુર્ઘટનામાં મૃત્યુ આંકમાં ગુજરાત 3જા ક્રમે છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૩૯ લોકોનો ભોગ લેવાયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળનાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા આંકડાકીય રીપોર્ટ જારી કરવામાં આવ્યો છે.જે અંતર્ગત બિહારમાં સૌથી વધુ ૫૧૮ લોકોના મોત થયા છે.બીજા ક્રમે હિમાચલ પ્રદેશમાં ૨૦૦ તથા ત્રીજા ક્રમે ગુજરાતમાં ૧૩૯ લોકોના મોત થયા છે.
૧ માંથી ૨૩ જુલાઈનો આ આંકડાકીય રીપોર્ટ છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર તથા ઉતર ગુજરાતમાં જ મોટાભાગનાં મોત નીપજયા હતા. બિપોરજોય વાવાઝોડુ તથા ત્યારબાદ ભારે વરસાદના ત્રણેક રાઉન્ડમાં વ્યાપક તારાજી અને દુર્ઘટના સર્જાઈ હતી. જામનગર, કચ્છ, દેવભુમિ દ્વારકા તથા અન્ય જીલ્લાઓમાં અતિભારે વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠા તથા મહિસાગરમાં પાંચ બાળકો તથા કાકંરેજમાં ત્રણ લોકોનાં ડુબી જવાના બનાવ પણ તેમાં સામેલ છે. જેતપુરની ભાદર નદીમાં ત્રણ લોકો ધોરાજીમાં શ્રમીકનાં ડુબી જવાના બનાવ બન્યા હતા. જામનગરમાં મેઘતાંડવ વખતે 6 લોકો ડુબી ગયા હતા. વરસાદમાં દિવાલ તૂટી પડવાની ઘટનામાં આણંદમાં બે તથા અમરેલીમાં એકનુ મોત થયુ હતુ.
દરમ્યાન ગુજરાતમાં વરસાદી રાઉન્ડ ચાલુ જ રહ્યો હોય તેમ છેલ્લા ચોવીસ કલાકમાં ૨૦૧ તાલુકામાં હળવો ભારે વરસાદ નોંધાયો હતો જોકે છેલ્લા ત્રણ દિવસની સરખામણીએ જોર ઘણુ ઘટી ગયુ હતું સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ સુરતના કામરેજમાં નોંધાયો હતો.. ગુજરાતમાં સીઝનનો ૭૧.૬૭ ટકા વરસાદ વરસી ગયો છે.પાંચ પૈકી કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૩૨.૩૭ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૦૫.૫ ટકા ઉતર ગુજરાતમાં ૬૧.૦૨ ટકા, મધ્ય ગુજરાતમાં ૫૮૫.૩૦ ટકા તથા દક્ષિણ ગુજરાતમાં ૫૭.૬૦ ટકા પાણી વરસી ગયુ છે.