વિસ્તારા ફ્લાઇટ: વિસ્તારા એરલાઈન્સની ઘણી ફ્લાઈટ આજે ફરી રદ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીની નવી દિલ્હીની પાંચ, બેંગ્લોરની ત્રણ અને કોલકાતાની બે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. વિસ્તારા એરલાઈન્સ પાઈલટ્સની અછત અને ઓપરેશનલ સમસ્યાઓનો સામનો કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે એટલે કે 2 એપ્રિલે કંપનીની લગભગ 70 ફ્લાઈટ્સ કેન્સલ થઈ શકે છે. આવી સ્થિતિમાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
વિસ્તારા એરલાઈન્સે એક નિવેદન જારી કરીને આ કારણ સમજાવ્યું છે
અહેવાલો અનુસાર, 1 એપ્રિલથી, કંપનીની 50 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને લગભગ 160 ફ્લાઇટ્સ મોડી પડી છે. નોંધનીય છે કે વિસ્તારા એરલાઈન્સ ટાટા ગ્રુપની કંપની છે અને તેનું વિલીનીકરણ ટાટા ગ્રુપની અન્ય એરલાઈન એર ઈન્ડિયા સાથે પ્રસ્તાવિત છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે વિસ્તારા એરલાઇન્સની આટલી ફ્લાઇટ્સ કેન્સલ થવાનું આ પણ એક કારણ હોઇ શકે છે. વિસ્તારા એરલાઈન્સે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ‘વિવિધ કારણોસર, ખાસ કરીને ક્રૂની અછતને કારણે, અમે છેલ્લા કેટલાક દિવસોમાં મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ રદ કરી છે અને ઘણી ફ્લાઈટ્સ વિલંબિત થઈ છે. આવી સ્થિતિમાં અમે નિર્ણય લીધો છે કે અમારા નેટવર્કમાં કનેક્ટિવિટી માટે અમે અમારી ફ્લાઇટની સંખ્યામાં ઘટાડો કરીશું.
મર્જરને કારણે પગારને લઈને પાઈલટોમાં અસંતોષના સમાચાર
એર ઈન્ડિયા અને વિસ્તારા એરલાઈન્સના મર્જર હેઠળ બંને કંપનીઓના ક્રૂને એક પગાર માળખા હેઠળ લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી સિસ્ટમ હેઠળ, વિસ્તારાના પાઇલટ્સને 40 કલાકની ઉડાન માટે ફિક્સ પગાર મળશે. ઉપરાંત, ફ્લાઇટના વધારાના કલાકો માટે તેમને અલગથી ચૂકવણી કરવામાં આવશે. હાલમાં, વિસ્તારાના પાઇલટ્સને ફ્લાઇટ દીઠ 70 કલાકનો પગાર ચૂકવવામાં આવે છે. આ મામલાના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વિસ્તારા એરલાઈન્સના ઘણા પાઈલટ નવા પગાર માળખાથી નારાજ થઈ ગયા છે કારણ કે તેનાથી તેમનો પગાર ઘટશે.
વિસ્તારા એરલાઈન્સની મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ રદ અને વિલંબને લઈને લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ કંપનીની સર્વિસને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે વિસ્તારા એરલાઇન્સની આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ કરવા અને વિલંબ કરવા અંગે કંપની પાસેથી જવાબ પણ માંગ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એક અધિકારીએ આ માહિતી આપી છે.