નવી દિલ્લી,
યશોભૂમિ કન્વેન્શનલ સેન્ટર, દ્વારકા, નવી દિલ્હી ખાતે આજે વિશ્વ હોમિયોપેથી દિવસ 2024 પર વૈજ્ઞાનિક સંમેલનનું ઉદ્ઘાટન કરતાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ જણાવ્યું હતું કે, “સારવારની વિવિધ પદ્ધતિઓથી ભ્રમિત થઈ ગયેલી ઘણી વ્યક્તિઓને હોમિયોપેથીના ચમત્કારોનો લાભ મળ્યો છે. જો કે, વૈજ્ઞાનિક સમુદાયમાં, આવા અનુભવોને ત્યારે જ સ્વીકારી શકાય છે જ્યારે હકીકતો અને વિશ્લેષણ દ્વારા સમર્થિત પૂરતી સંખ્યામાં અનુભવો સાથે રજૂ કરવામાં આવે. વૈજ્ઞાનિક કઠોરતાને પ્રોત્સાહિત કરવાથી લોકોમાં સારવારની આ પદ્ધતિમાં વિશ્વાસ વધશે.”
તેમણે તેમના સંબોધનમાં ઉમેર્યું હતું કે “વૈજ્ઞાનિક માન્યતા એ પ્રામાણિકતાનો આધાર બનાવે છે અને સ્વીકૃતિ અને લોકપ્રિયતા બંને પ્રામાણિકતા સાથે વધશે. સંશોધનને સશક્ત બનાવવા અને નિપુણતા વધારવાના તમારા પ્રયત્નો હોમિયોપેથીને પ્રોત્સાહન આપવા માટે ફાયદાકારક રહેશે. તેનાથી ડૉક્ટર્સ, દર્દીઓ, દવા ઉત્પાદકો અને સંશોધકો સહિત હોમિયોપેથી સાથે સંકળાયેલા તમામ લોકોને લાભ થશે.”
રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યું હતું કે હોમિયોપેથીની શિક્ષણ પ્રણાલીમાં સતત સુધારાથી આ પદ્ધતિ યુવાન વિદ્યાર્થીઓ માટે વધુ આકર્ષક બનશે. હોમિયોપેથીના ઉજ્જવળ ભવિષ્ય માટે મોટી સંખ્યામાં યુવાનોની સંડોવણી જરૂરી છે. રાષ્ટ્રપતિએ આયુષ મંત્રાલયને આ મેગા ઇવેન્ટનું આયોજન કરવા અને અન્ય આયુષ ચિકિત્સા પદ્ધતિઓની સાથે હોમિયોપેથીને પ્રોત્સાહન આપવા બદલ અભિનંદન આપ્યા.
રાષ્ટ્રપતિએ આ બે દિવસીય વૈજ્ઞાનિક સંમેલનમાં “સંશોધનને સશક્ત બનાવવું, નિપુણતામાં વધારો કરવો” આજે વિશ્વ હોમિયોપેથી દિવસના પ્રસંગની ઉજવણી કરવા માટે આયુષ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સર્વોચ્ચ સંશોધન સંસ્થા સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (સીસીઆરએચ) દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું.