5 ડિસેમ્બરે જયપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાનો મામલો રાજસ્થાનથી આગળ ગુજરાત સુધી પહોંચ્યો છે. ત્યારે સુખદેવસિંહ ગોગામેડી હત્યા કેસ સંદર્ભે શક્તિપીઠ અંબાજીમાં સર્વ સમાજ દ્વારા સર્કલ ઓફિસર અને અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટરને ફરિયાદ પત્ર આપવામાં આવ્યો હતો. સવારથી જ અંબાજીની તમામ બજારો સ્વયંભૂ બંધ રહી હતી અને 51 શક્તિપીઠમાંથી તમામ સમાજના લોકોએ રેલીમાં ભાગ લીધો હતો અને અંબાજી બજારમાંથી રેલી કાઢી હતી.
રેલીમાં સમગ્ર સમાજમાંથી કરણી સેનાના નેતાના હત્યારાઓને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી. સર્વ સમાજ સાથે સંકળાયેલા કરણી સેનાના અગ્રણી નેતા સુખદેવ સિંહ ગોગામેડીને ગોળી મારીને હત્યા કરનાર ચારમાંથી બે આરોપી હજુ ફરાર છે. તેમને પકડવા માટે પોલીસ તંત્ર ચુસ્ત બની ગયું છે. અંબાજીના 51 શક્તિપીઠ સર્કલ ખાતે સુખદેવસિંહના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢી હતી. આ પછી રેલી ઝોનલ ઓફિસે પહોંચી હતી અને ઝોનલ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.