મહેસાણા દૂધસાગર ડેરી સાગરદાન કૌભાંડ કેસમાં મહેસાણા કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. 22.50 કરોડના કૌભાંડ કેસમાં લાંબા સમય બાદ આજે કોર્ટે ચુકાદો આપ્યો છે, જેમાં 7 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.
આ કેસમાં કુલ 22 લોકો આરોપી છે, જેમાંથી 3ના મોત થયા છે. વર્ષ 2013માં 22.50 કરોડ રૂપિયાની શેરડી મહારાષ્ટ્ર મોકલવામાં આવી હતી. 2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. સાગરદાન કૌભાંડમાં ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21,000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને આ કેસમાં વિજય બારોટની વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ કેસમાં 19 આરોપીઓ દોષિત ઠર્યા છે, જેમાંથી 15 આરોપીઓને 7 વર્ષની સજા થઈ છે, જ્યારે 19માંથી 4 આરોપીઓને શંકાનો લાભ આપી અપીલની મુદત સુધી 50,000-50,000ના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.