સિક્કિમમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. કૂદરતી આફતોના આ પૂરમાં ઠેકઠેકાણે તબાહી થઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે જે મુજબ સ્થાનિક લોનાક તળાવ વધારે પડતા પાણીના પ્રવાહ વચ્ચે ફાટતા તિસ્તા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યુ હતું. મળતી માહિતિ મુજબ આ ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે તો 23 સૈનિકો સહિત 102 લોકો લાપતા હોવાની વિગતો પણ સપાટી પર આવી છે. ઘાયલોની સંખ્યાનો આંકડો હજુ 23 બતાવાઈ રહ્યો છે. ઘટનાના પગલે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે કે જેમાં NDRFની ટીમ સહિત સ્થાનિક પ્રશાસન પણ તેમા જોતરાયું છે. વાદળ ફાટવાની આ ઘટના વચ્ચે નેશનલ હાઈવે નંબર 10 ધોવાઈ ગયો હતો. તિસ્તા નદીમાં પાણીનો પ્રવાહ પણ વધીને 15 થી 20 ફૂટ પર પોહચી ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમસિંહ તમાંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી હતી અને રેસ્ક્યુ થી લઈ મદદ સુધીની તમામ કામગીરીની ખાતરી આપી હતી. જણાવવું રહ્યું કે આજે પણ સિક્કિમમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 48 કલાક સુધી ભારે વરસાદ સિક્કિમમાં પડી શકે છે..
સિક્કિમ પૂરને કારણે અનેક સમસ્યાઓ ઉભી થઇ જે વિષે જણાવીએ, લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાને કારણે લાચેન ઘાટીમાં તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું હતું. સિક્કિમના વિવિધ ભાગોમાં 3000 થી વધુ પ્રવાસીઓ ફસાયા હોવાનું જાણવા મળે છે. પૂરના કારણે 14 પુલ ધરાશાય થયા જે પૈકી 9 બ્રિજ BRO હેઠળ છે અને 5 રાજ્ય સરકારના છે. અત્યાર સુધીમાં સેનાના 1 જવાન સહિત લગભગ 166 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવકર્મીઓએ સિંગતમના ગોલીતાર ખાતે તિસ્તા નદીના પૂરગ્રસ્ત વિસ્તારમાંથી ઘણા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે તળાવમાં પાણીની સપાટીમાં અચાનક 15 થી 20 ફૂટનો વધારો થયો હતો. બુધવારે સવારે સિંગતમમાં એક પુલ તિસ્તા નદીના પાણીમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. બુધવારે બપોરે 1 વાગ્યે તિસ્તા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી નીચે હતું. સિક્કિમ સરકારે એક નોટિફિકેશનમાં તેને આપત્તિ જાહેર કરી છે. વડા પ્રધાન મોદીએ સિક્કિમના મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમાંગ સાથે વાત કરી અને રાજ્યમાં અચાનક આવેલા પૂરને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી. વડાપ્રધાને રાજ્ય સરકારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી પણ આપી હતી. સિક્કિમ અને ઉત્તર બંગાળમાં તૈનાત ભારતીય સેનાના અન્ય તમામ સૈનિકો સુરક્ષિત છે. પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે મુખ્યમંત્રી તમાંગે સિંગતામની મુલાકાત લીધી હતી. સતત વરસાદને કારણે NH-10નો એક ભાગ રસ્તાની નીચે ખડકો અને માટી લપસી જવાને કારણે ખાડામાં પડી ગયો હતો. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં મુશળધાર વરસાદ ઉપરાંત, તિસ્તા નદીમાં જળસ્તર વધવાથી કાલિમપોંગ, દાર્જિલિંગ, અલીપુરદ્વાર અને જલપાઈગુડી જિલ્લાઓમાં ઘણી જગ્યાઓ પ્રભાવિત થઈ છે.