સિદ્ધપુર ડેપો ખાતે સ્વચ્છતા શ્રમ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા કલાકારો દ્વારા નાટક રજુ કરવામાં આવ્યું હતું. મુસાફરોને એસટી ડેપો સહિતની બસોમાં સ્વચ્છતા જાળવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાલનપુર મંડળ એસટી કચેરીના તમામ ડેપો અને એસટી બસોમાં સ્વચ્છતા જાળવવા અને લોકોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ કેળવાય તે માટે ગુરુવારથી પાલનપુર એસટી ડેપો ખાતેથી સ્વચ્છતા શ્રમ રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ત્યારે આ સ્વચ્છતા શ્રમ રથ આજે સિદ્ધપુર ડેપો ખાતે પહોંચ્યો હતો અને ડેપો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ કેળવવા કલાકાર રતિલાલ અને દેવરાજ ભાટિયા દ્વારા સ્કીટ રજૂ કરવામાં આવી હતી. એસટી ડેપો અને બસોમાં સ્વચ્છતા જાળવવા મુસાફરો સહિત ઉપસ્થિત તમામ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. જેમાં એસટી કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સિદ્ધપુર ડેપોથી સ્વચ્છતા શ્રમ રથનું પ્રસ્થાન થયું હતું. આ પ્રસંગે એપીએમસીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, મનીષભાઈ પ્રજાપતિ, જયેશભાઈ પંડ્યા, જશુભાઈ પટેલ, ડેપો મેનેજર ચેતનભાઈ ચૌધરી, હારૂનભાઈ મોગલ સહિત મોટી સંખ્યામાં મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા.