વીટીવીને આવકવેરા વિભાગને લઈને એક મહત્વના સમાચાર મળ્યા છે. આવકવેરા વિભાગે રાજકીય પક્ષોને નકલી દાન આપનારા કરદાતાઓને નોટિસ ફટકારી છે. આવકવેરા વિભાગે એક સાથે 4,000 લોકોને નોટિસ ફટકારતાં હોબાળો મચી ગયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આ લોકોએ 23 નાની રાજકીય પાર્ટીઓને દાન આપ્યું છે.
આ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે રાજકીય પક્ષોને દાન આપીને કરચોરી કરવામાં આવી રહી છે. રાજકીય પક્ષોને ચેક આપીને અને રોકડમાં પૈસા ઉપાડીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં સરકારી અને બિનસરકારી એજન્ટોની સંડોવણી પણ સામે આવી છે. હાલ આ મામલે આવકવેરા વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોકડ અને ચેકના વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.
આવકવેરા વિભાગે ભારતીય રાષ્ટ્રીય તંત્ર પાર્ટી, રાષ્ટ્રીય જનતા પાર્ટી, નવસર્જન ભારત પાર્ટી, જનતાવાદી કોંગ્રેસ પાર્ટી, સત્તા કલ્યાણ પાર્ટી, ભારતીય જન ક્રાંતિ દળ, અપના દેશ પાર્ટી, રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી, સરદાર વલ્લભભાઈ પાર્ટી, લોક કલ્યાણ પાર્ટી, રાષ્ટ્રીય ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી, જન સંઘર્ષ, વિરાટ પાર્ટી, યુવા જન જાગૃતિ પાર્ટી, સૌરાષ્ટ્ર જનતા પ્રકાશ, માતૃભૂમિ રાષ્ટ્રીય પાર્ટી, લોકતંત્ર જાગૃત પાર્ટી, ભારતીય કિસાન પરમિતા પાર્ટી, રાષ્ટ્રીય કોમી એકતા પાર્ટી, ડેમોક્રેટિક પાવર પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી, ભારતીય સ્વર્ણ સમાજ પાર્ટી મન પાર્ટી, ગુજરાત જનતા પંચાયત પાર્ટીને જન નોટિસ આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે 8 મહિના પહેલા આવકવેરા વિભાગે નકલી ડોનેશન અને ટેક્સ કૌભાંડ મામલે અમદાવાદ સહિત રાજ્યભરમાં દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે અમદાવાદમાં 96 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન આવકવેરા વિભાગે રૂ. 4 હજાર કરોડના દાન ખાતા મળી આવ્યા હતા. આ સિવાય રાજકીય પક્ષો પાસેથી મળેલા દસ્તાવેજો પરથી 4,000 કરોડ રૂપિયાનું દાન બહાર આવ્યું છે. રાજકીય પક્ષો માટે ડોનેશન લઈને રીતસરનું કૌભાંડ આચરવામાં આવતું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હવે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી છે.