નડિયાદ જંકશન રેલ્વે સ્ટેશનના નવીનીકરણ સંદર્ભે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં રેલવેના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
રેલવે સ્ટેશનના નવીનીકરણના ભાગરૂપે નડિયાદના પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતો રેલવે ઓવરબ્રિજ 80 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.
નડિયાદના જંકશન રેલ્વે સ્ટેશનના નવીનીકરણ સંદર્ભે સંસદીય સેવા કેન્દ્ર ખાતે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા નડિયાદ રેલ્વે સ્ટેશનના નવીનીકરણની યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ મીટીંગમાં નડિયાદ જંકશન રેલ્વે સ્ટેશનના નવા બાંધકામ અંગે આર્કિટેક્ટ ઈજનેર મોહમ્મદજી દ્વારા પાવર પોઈન્ટ ડેમો – બ્લુ પ્રિન્ટ રજૂ કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓએ જરૂરી સૂચનો કર્યા હતા. આ અંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે મીડિયાના પ્રતિનિધિઓને સંબોધતા જણાવ્યું હતું કે, નડિયાદ નજીકના ભવિષ્યમાં મહાનગર પાલિકા બનવા જઈ રહી છે. નડિયાદ ખેડા જિલ્લાનું ખૂબ જ મહત્વનું નગર હોવાથી કેન્દ્ર સરકારે નડિયાદ ખાતે અંદાજિત રૂ. 500 કરોડના ખર્ચે પુનઃવિકાસ અને રેલવે સ્ટેશનના નિર્માણના પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
નડિયાદમાં સંતરામ મંદિર, જિલ્લામાં ભાથીજી મહારાજનું ફાગવેલ, વડતાલમાં સ્વામિનારાયણ ભગવાન મંદિર જેવી સ્વતંત્રતા સત્યાગ્રહને લગતી ઐતિહાસિક, ધાર્મિક અને ઘટનાઓને દર્શાવતી ડિઝાઇન પણ રેલવે સ્ટેશનના બાંધકામમાં સામેલ કરવામાં આવશે.
આ ઉપરાંત નડિયાદ રેલવે સ્ટેશનની બંને તરફ વિભાજિત પૂર્વ-પશ્ચિમ ઝોનને જોડતો રેલવે ઓવરબ્રિજ પણ 80 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. નડિયાદ શહેરવાસીઓ અને મુસાફરોની સુવિધાને પ્રાધાન્ય આપવામાં આવશે. નડિયાદનું રેલવે સ્ટેશન બાંધકામમાં શહેર અને ખેડા જિલ્લાને શોભાવતી સાંસ્કૃતિક વારસાની વિવિધ થીમ્સને પણ આવરી લેશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું.
આ બેઠકમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા અગ્રણી અજયભાઈ બ્રહ્મભટ્ટ, નડિયાદ રેલવે સ્ટેશનના ચીફ પ્રોજેક્ટ મેનેજર મુકેશકુમાર, અમિતસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.