પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે પ્રદેશના જૂના ઇતિહાસને પરત કરવા માટે કેટલાક નામ બદલવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે કટ્ટરવાદીઓ અને બ્લોગર્સના દબાણમાં તેણે આ નિર્ણય બદલ્યો છે. પાકિસ્તાનના સ્થાનિક વહીવટીતંત્ર અનુસાર, હવે ન તો ‘બાબરી મસ્જિદ ચોક’નું નામ ‘જૈન મંદિર રોડ’ રહેશે અને ન તો ‘મુસ્તફાબાદ’નું નામ ‘ધરમપુરા’ રહેશે.
20 મેના રોજ, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના વડા મરિયમ નવાઝ સરકારે ઘણા વિસ્તારોના નામ બદલીને તેમના 1947 પહેલાના નામો રાખવાની જાહેરાત કરી હતી. આ માટે તેમણે ઔપચારિક આદેશ પણ જારી કર્યો હતો. તમને જણાવી દઈએ કે, આ નિર્ણય લાહોર હેરિટેજ એરિયા રિવાઈવલની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. જેની અધ્યક્ષતા નવાઝ શરીફે કરી હતી.
મરિયમ નવાઝ સરકાર દ્વારા આ આદેશની જાહેરાત બાદ પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા. ઘણા ઇસ્લામિક કટ્ટરપંથીઓ અને બ્લોગર્સે તેનો વિરોધ કર્યો હતો અને તેને પાકિસ્તાનની ધરોહરને ભૂલી જવાની વાત ગણાવી હતી. આ પછી, મરિયમ સરકાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ જ્યારે સ્થાનિક પત્રકારો આ વિશે માહિતી મેળવવા માંગતા હતા, ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તે હજી વિચારણા હેઠળ છે.
પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ મુજબ મરિયમ સરકારે ઈસ્લામિક કટ્ટરપંથીઓના દબાણમાં આ નિર્ણય લીધો છે. કારણ કે આ કટ્ટરપંથીઓ અને બ્લોગર્સ સતત આરોપ લગાવી રહ્યા હતા કે મરિયમ સરકાર પ્રદેશની હિંદુ અને શીખ ઓળખને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

