Snake bite prevention and treatment: ચોમાસા સાથે જ વરસાદી પાણી, ભીંજાયેલા ખેતરો અને ઘરઆંગણે ભેજવાળું વાતાવરણ સાપોને બહાર આવવા મજબૂર કરે છે. આ જ કારણ છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન સાપ કરડવાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.
ભારતમાં સર્પદંશની સ્થિતિ
આંકડાઓ મુજબ, દેશમાં દર વર્ષે આશરે 40 લાખ લોકોને સાપ કરડે છે અને અંદાજે 50 હજાર લોકોનાં મોત થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે વિશ્વભરમાં દર વર્ષે એક લાખથી વધારે લોકોનું જીવન સાપના ઝેરને કારણે ખોવાય છે, જેમાં અડધા કેસો ભારતમાંથી હોય છે.
ગુજરાતમાં વધતા કેસ
ગુજરાતમાં દર વર્ષે હજારો લોકોને સાપ કરડે છે. ચોમાસા દરમિયાન આ આંકડો વધુ ચિંતાજનક હોય છે. મોટા ભાગના કેસો ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાય છે, જ્યાં લોકો ખેતરમાં કે ખુલ્લી જગ્યાએ સુતા હોય છે. રાજ્યની 108 ઇમર્જન્સી સર્વિસ મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં સાપ કરડવાના કોલમાં સતત વધારો થયો છે.
ચોમાસામાં સાપ કેમ વધારે કરડે?
વરસાદ અને પાણી ભરાવું: સાપના બિલ્લામાં પાણી ભરાતા તે બહાર આવવા મજબૂર થાય છે.
ખોરાકની શોધ: દેડકાં, ઉંદર અને અન્ય જીવજંતુ ચોમાસામાં વધુ મળતા હોવાથી સાપ ખોરાકની શોધમાં માનવવસાહતોમાં ઘૂસે છે.
પ્રજનન સમયગાળો: ચોમાસામાં સાપના ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવે છે, જેથી સાપોની અવરજવર વધી જાય છે.
શીતનિદ્રાની તૈયારી: શિયાળાની શીતનિદ્રા પહેલાં સાપ વધુ ખોરાક ભેગું કરે છે, જેથી તે સક્રિય રહે છે.
ગુજરાતમાં ઝેરી સાપની પ્રજાતિઓ
ગુજરાતમાં આશરે 60થી વધુ જાતિના સાપ જોવા મળે છે, પરંતુ માત્ર ચાર જ પ્રજાતિ મનુષ્યો માટે જોખમી છે:
નાગ (Indian Cobra)
કાળોતરો (Common Krait)
ખડચીતળો (Russell’s Viper)
ફૂરસો (Saw-scaled Viper)
સાપના ઝેરના પ્રભાવ
ન્યુરોટૉક્સિક ઝેર (કોબ્રા, કાળોતરો): ચેતાતંત્ર પર અસર કરે છે. શ્વાસ લેવામાં તકલીફ, લકવો, પાંપણ ન ખૂલે જેવા લક્ષણો દેખાય.
હિમોટૉક્સિક ઝેર (વાઇપર): લોહીમાં ભળી હેમરેજ કરે છે. નાક, કાન, પેશાબ કે ઊલટીમાં લોહી આવે છે.
સાઇટોટૉક્સિક ઝેર: શરીરના ભાગમાં સોજો, દુખાવો અને ગૅંગ્રીન જેવા ગંભીર પ્રભાવ થાય છે.
સાપ કરડ્યા પછી શું ન કરવું?
ઝેર ચૂસીને કાઢવાનો પ્રયાસ ન કરવો.
કરડેલી જગ્યાએ ચીરો કે પાટો ન બાંધવો.
ઘરગથ્થુ ઉપચાર કે જડીબુટ્ટી પર આધાર ન રાખવો.
સાપને પકડવાનો કે મારી નાખવાનો પ્રયત્ન ન કરવો.
સાપ કરડ્યા પછી શું કરવું?
દર્દીને શાંત રાખો અને ભાગતા કે દોડતા અટકાવો.
સાપ કરડેલા ભાગમાંથી વીટીં, ઘડિયાળ કે કડાં જેવી વસ્તુઓ ઉતારી લો.
તાત્કાલિક નજીકની હોસ્પિટલ કે હેલ્થ સેન્ટર પહોંચો.
શક્ય હોય તો ક્યારે અને કેવી રીતે કરડ્યો તેની માહિતી ડૉક્ટરને આપો.
દર્દીને સલામત રીતે હોસ્પિટલ લઈ જવામાં વિલંબ ન કરો.
સાવચેતી રાખવાથી બચી શકાય
સાપ સામાન્ય રીતે માણસને હુમલો કરતો નથી, પરંતુ ડર કે બચાવ માટે ડંખ મારે છે. ચોમાસામાં ખાસ કાળજી લેવી જોઈએ, જેમ કે:
ઘરમાં ભેજવાળી વસ્તુઓ, લાકડાં કે કચરું એકઠું ન થવા દેવું.
ખેતરમાં કામ કરતી વખતે કે રાત્રે બહાર સૂતી વખતે સાવચેત રહેવું.
પગરખાં, બાઇક કે કપડાં પહેરતા પહેલાં તપાસ કરી લેવી.
આ રીતે સાવચેતી રાખી અને સમયસર સારવાર કરાવી લેવાથી સાપ કરડવાના ગંભીર પરિણામોને ટાળી શકાય છે.

