Gujarat suicide and crime statistics: ગુજરાતમાં દરરોજ સરેરાશ 25 લોકો આત્મહત્યા કરીને જીવન ટૂંકાવે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ પ્રમાણે આત્મહત્યા માટે બીમારી સૌથી મોટું જવાબદાર પરિબળ છે. બીમારીને કારણે દરરોજ સરેરાશ પાંચ વ્યક્તિ આત્મહત્યા કરે છે. બીજી તરફ હત્યાના 30 ટકા જેટલા કેસમાં સામાન્ય બોલાચાલી જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
2025નું વર્ષ પૂરું થવામાં હવે 3 મહિના બાકી છે ત્યારે છેક નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા વર્ષ 2023માં ગુજરાતમાં ગુનાખોરી-આત્મહત્યાના કેસનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. આ અહેવાલ પ્રમાણે આત્મહત્યા કરનારામાં 6260 પુરુષ, 2685 મહિલા જ્યારે 3 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. ગરીબીને કારણે 67, બેરોજગારીને કારણે 207 લોકોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
પ્રેમ પ્રકરણને કારણે 409 પુરુષ-269 મહિલા-બે ટ્રાન્સજેન્ડર્સ એમ કુલ 680 દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. બીમારીમાં કેન્સરને કારણે 117 લોકોએ પોતાનું જીવન ટૂંકાવેલું છે. લગ્નેતર સંબંધ, લગ્ન નહીં થવાને કારણે પણ આત્મહત્યા કરનારાના પ્રમાણમાં વધારો થયેલો છે.
આ અંગે મનોચિકિત્સકોના મતે છેલ્લા કેટલાક વર્ષોથી નાની-નાની બાબતોમાં આ પ્રકારે અવિચારી પગલાં ભરનારાના પ્રમાણમાં વધારો થયો છે. પ્રત્યેક વ્યક્તિએ નાની સમસ્યા હોય તો પણ તેની પરિવારના સદસ્ય કે અંગત મિત્ર સાથે ચર્ચા કરવી જોઇએ. દરેક સમસ્યાનો એક ઉકેલ હોય જ છે, તે ભૂલવું જોઇએ નહીં.
છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં હત્યાના 968 કેસ નોંધાયા છે. હત્યાના 30 ટકા કેસમાં સામાન્ય બોલાચાલી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. હત્યાના કુલ 68 કેસમાં ગુનેગારોની ઉંમર 18થી ઓછું હોવાનું સામે આવ્યું છે.

