આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને પીપાવાવ પોર્ટના કેપેસિટી એક્સપાન્શનથી ગુજરાતમાં પોર્ટ લેડ ડેવલોપમેન્ટને નવી દિશા મળશે
આ સમજૂતી કરાર દ્વારા પીપાવાવ બંદરની હાલની કન્ટેનર,બલ્ક,લિક્વિડ તથા રો-રો કાર્ગો વહન કરવાની ક્ષમતામા વધારો થવાના પરિણામે બંદરની કામગીરી વધુ અસરકારક અને ઝડપી બનશે.
MoUના પરિણામે પીપાવાવ પોર્ટના વિસ્તરણ અને આધુનિકીકરણ તરફના મહત્વપૂર્ણ કદમથી ભારતના ‘મેરિટાઈમ ગેટવે’ તરીકેની ગુજરાતની ઓળખ વધુ સુદ્રઢ થશે
ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ પોર્ટ (APMટર્મિનલ્સ) દ્વારા ૧૭ હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણ માટેMoU થયા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ના વિઝનને ગુજરાતમાં પોર્ટ્સ સેક્ટરના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસથી સાકાર કરવાનું એક મહત્વપૂર્ણ કદમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ભર્યું છે.
આ હેતુસર ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ (APMટર્મિનલ્સ) દ્વારા ૧૭ હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણના સમજૂતી કરાર (MoU)બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને એ. પી. મોલર-માર્સ્ક બોર્ડના અધ્યક્ષ શ્રી રોબર્ટ મેર્સ્ક ઉગ્લાની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.
આ એમઓયુનો ઉદ્દેશ્ય પીપાવાવ બંદરના કેપીસીટી એક્સપાન્શનથી રાજ્યમાં અદ્યતન ડેવલપમેન્ટ દ્વારા ગુજરાતના દરિયાઈ ક્ષેત્રને વધુ સુદ્રઢ કરવાનો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ એમ.ઓ.યુ.ની સરાહના કરતા કહ્યું કે,પીપાવાવ પોર્ટ્સના વિસ્તરણને પરિણામે ગુજરાતની ભારતના ‘મેરિટાઇમ ગેટવે’ તરીકેની પ્રસ્થાપિત થયેલી ઓળખ વધુ સુદ્રઢ થશે.
એટલું જ નહિ,ગુજરાતમાં પોર્ટ્સ નેટવર્કને વધુ મજબૂત બનાવીને રાજ્યના ઉદ્યોગો,નિકાસકારો અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને સશક્ત બનાવશે. નિકાસ અને આયાતના સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થશે. બંદર આસપાસના વિસ્તારોમાં ઉદ્યોગો,વેરહાઉસિંગ અને સપ્લાય ચેઈનની સુવિધાઓ વિકસશે અને રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો પણ થશે.
આ પ્રોજેક્ટથી પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને25હજાર જેટલી નવી રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે. આ રોજગારીની તકો સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ આપશે અને ગ્રામ્ય વિસ્તારમાં જીવન સ્તરમાં પણ સુધારો લાવશે.

