અનંત અનાદિ વડનગર: ગુજરાત સરકારની ક્રાંતિકારી પહેલ
વારસો-સંસ્કૃતિ-પ્રવાસન-અર્થતંત્રનો સંગમ: માત્ર ગૌશાળા નહીં, અત્યાધુનિક ગ્રામીણ પ્રયોગશાળા બનશે વૃંદાવન ગૌચર પાર્ક
ગૌપ્રેમી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું વતન બનશે ગૌસેવાનું તીર્થધામ,ગાય આધારિત ગ્રામીણ વિકાસનું બનશે આદર્શ મૉડલ
ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું ઐતિહાસિક શહેર વડનગર હવે ઇંટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટ સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સ સાથે મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ બનવા જઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર છેલ્લાં કેટલાંક વર્ષોથી વડનગરને ‘અનંત અનાદિ વડનગર’ના વિઝન સાથે વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પ્રયાસશીલ છે,જેના ભાગરૂપે રાજ્ય સરકાર ક્રાંતિકારી પહેલ શરૂ કરવા જઈ રહી છે.
વડનગરમાં દેશના પ્રથમ ભવ્ય વૃંદાવન ગૌચર પાર્કનું નિર્માણ કરવામાં આવશે,જે એક વૈશ્વિક મૉડલ બનશે. ગૌચર પાર્કના નિર્માણ બાદ ગૌપ્રેમી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ વડનગર ગૌસેવાના તીર્થધામ તરીકે પ્રખ્યાત થશે. આ પાર્ક એક ગૌશાળા ઉપરાંત અત્યાધુનિક ગ્રામીણ પ્રયોગશાળા પણ બનશે.
વડનગર ખાતે લગભગ₹15કરોડના ખર્ચે વૃંદાવન ગૌચર પાર્કનું થશે નિર્માણ
લગભગ₹15કરોડના ખર્ચે પ્રસ્તાવિત વૃંદાવન ગૌચર પાર્ક પ્રોજેક્ટના નિર્માણ માટે નગર પાલિકા અને જિલ્લા સ્તરથી લઈને રાજ્ય સ્તરે શહેરી વિકાસ વિભાગ તરફથી કવાયત શરૂ થઈ ગઈ છે. રાજ્ય સ્તરે ગુજરાત શહેરી વિકાસ કંપની (GUDC)આ પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી હશે,જ્યારે જમીન સંપાદન સહિતની સમગ્ર નિર્માણ પ્રક્રિયા જિલ્લા સ્તરે અને નગરપાલિકા સ્તરે કરવામાં આવશે.
ક્યાં બનશે વૃંદાવન ગૌચર પાર્ક?
રાજ્ય સરકારે વડનગરની પ્રાચીન-ઐતિહાસિક સંસ્કૃતિ અને પુરાતત્વીય અવશેષોને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે અનેક પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમો શરૂ કર્યા છે. આ સાથે જ,શહેરની વર્તમાન સમસ્યાઓના નિવારણને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ અંતર્ગત રખડતી ગાયોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાના ઉદ્દેશ્ય સાથે અમરથોલ ક્ષેત્રમાં ગૌરીકુંડ નજીક ભવ્ય વૃંદાવન ગૌચર પાર્કના વિકાસની પરિકલ્પના કરવામાં આવી છે.
વૃંદાવન ગૌચર પાર્કનો એક પર્યટન સ્થળ તરીકે વિકાસ થશે
આ પાર્કમાં ગાયો માટે ગૌચરને અનુરૂપ ઘાસચારો અને પાણીની વ્યવસ્થા હશે તેમજ પશુઓની સ્વાસ્થ્ય સંભાળ માટે વેટરનરી હૉસ્પિટલ પણ બનાવવામાં આવશે. આ પાર્ક સીસીટીવી કૅમરા સર્વેલન્સથી સજ્જ હશે. પાર્કમાં મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ તથા અતિક્રમણ અટકાવવા માટે પ્રોટેક્શન વૉલનું પણ નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત,પાર્કમાં ગાયોની સારી ઓલાદોના ઉછેરનો પણ પ્રયાસ કરવામાં આવશે. આ તમામ પહેલથી વૃંદાવન ગૌચર પાર્ક એક પર્યટન સ્થળ પણ બનશે.

