Gujarat ATS terror attack foiled: ગુજરાત ATSએ ભારતમાં મોટા આતંકી હુમલાને નિષ્ફળ બનાવ્યાનો દાવો કર્યો છે. ATSએ ત્રણ શંકાસ્પદોને ઝડપી પાડ્યા છે. ATS અનુસાર મુખ્ય આરોપી પાસેેથી બે ગ્લોક પિસ્તોલ, એક બેરીટા પિસ્તોલ, 30 જીવંત કારતૂસ અને 4 લિટર અરણ્ડીનું તેલ મળી આવ્યું છે. ATSના ડી.આઈ.જી. સુનીલ જોશીએ જણાવ્યું હતું કે માહિતી મળી હતી કે હૈદરાબાદનો એક વ્યક્તિ સૈયદ અહમદ મોહિયુદ્દીન આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ છે અને તે આ માટે અમદાવાદ આવવાનો છે. તપાસ બાદ તેની અમદાવાદમાં હલચલની માહિતી મળી. તેને અડાલજ નજીકના ટોલપ્લાઝા પર પકડી પાડવામાં આવ્યો.
રાસાયણિક ઝેરથી વિનાશનો પ્લાન
ડી.આઈ.જી. સુનીલ જોશીએ જણાવ્યું હતું કે સૈયદ અહમદ મોહિયુદ્દીને ચીનમાંથી એમબીબીએસ કર્યું છે. તે ભારતમાં એવી આતંકી ઘટના અંજામ આપવા માગતો હતો કે જેમાં ભારે જાનહાનિ થાય. તે અનેક વિદેશીઓના સંપર્કમાં હતો. તે ‘અબુ ખદીજા’ નામની એક ટેલિગ્રામ આઈડી સાથે જોડાયેલો હતો, જે આઈએસકેએપી (ઇસ્લામિક સ્ટેટ – ખુરાસાન પ્રાંત) સાથે સંકળાયેલ હોવાનું માનવામાં આવે છે. તેણે ‘રિસિન’ નામનું રાસાયણિક ઝેર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જે અરણ્ડીના બીજમાંથી બનતા અવશેષ પદાર્થથી તૈયાર થઈ શકે છે. તે હથિયારની ડિલિવરી લેવા અમદાવાદ આવ્યો હતો, જે તેને કલોલમાંથી મળી હતી.
બે શંકાસ્પદોએ લીધી છે ‘દીની’ શિક્ષા
ડી.આઈ.જી. જોશીએ વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના અન્ય બે શંકાસ્પદ બનાસકાંઠા જિલ્લામાં હતા. જેમાંથી એક લખીમપુરનો અને બીજો શામલીનો રહેવાસી છે. તેમની ઓળખ આજાદ સુલેમાન શેખ અને મહંમદ સુહેલ સલીમ ખાન તરીકે થઈ છે. બંનેએ ‘દીની’ શિક્ષા લીધી છે અને કટ્ટરપંથી છે. જોશીએ કહ્યું કે બંને વિદેશમાં કેટલાક લોકોના સંપર્કમાં હતા. તેમણે લખનઉ, દિલ્હી અને અમદાવાદના ભીડવાળા વિસ્તારોમાં રેકી કરી હતી. કાશ્મીરમાં પણ તેમની પ્રવૃત્તિઓ નોંધાઈ હતી. તેમણે હનુમાનગઢ (રાજસ્થાન)માંથી સામાન મેળવ્યો હતો અને તે કલોલમાં ઉતાર્યો હતો. જોશીએ જણાવ્યું કે વધુ તપાસ ચાલુ છે. એક આરોપીની 17 નવેમ્બર સુધી રિમાન્ડ મળી છે જ્યારે બાકીના બે આરોપીઓને આજે અદાલતમાં રજુ કરવામાં આવશે.

