માલીમાં પાંચ ભારતીયોના અપહરણ કેસમાં એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. આ મુજબ, ભારતીય દૂતાવાસ ભારતીય નાગરિકોની સુરક્ષિત મુક્તિ માટેના પ્રયાસોમાં વ્યસ્ત છે. અશાંતિ સાથે સંઘર્ષ કરી રહેલા પશ્ચિમ આફ્રિકન દેશમાં આ તમામનું 6 નવેમ્બરે અપહરણ કરવામાં આવ્યું હતું. આ પાંચેયને એક કંપનીએ ઈલેક્ટ્રીફિકેશનના કામ માટે રાખ્યા હતા. તેઓનું કોબરી નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું. કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે કંપનીના અન્ય ભારતીય કર્મચારીઓને બમાકો ખસેડવામાં આવ્યા છે.
માલીની રાજધાની બમાકોમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર એક ‘પોસ્ટ’માં આ ઘટનાની માહિતી આપી છે. દૂતાવાસે કહ્યું કે અમે 6 નવેમ્બર, 2025 ના રોજ માલીમાં અમારા પાંચ નાગરિકોના અપહરણની કમનસીબ ઘટનાથી વાકેફ છીએ. તેમણે કહ્યું કે દૂતાવાસ તેમની સુરક્ષિત મુક્તિ શક્ય તેટલી વહેલી તકે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓ અને કંપની સાથે મળીને કામ કરી રહી છે. અત્યાર સુધી કોઈ જૂથે આ અપહરણની જવાબદારી લીધી નથી.
અગાઉ સપ્ટેમ્બરમાં અલ-કાયદા સાથે જોડાયેલા સંગઠન જમાત નુસરત અલ-ઈસ્લામ અલ-મુસ્લિમીને બે અમીરાતી નાગરિકો અને એક ઈરાની નાગરિકનું અપહરણ કર્યું હતું. લગભગ $50 મિલિયનની ખંડણી મેળવ્યા પછી તે બધાને છોડી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુનેગારો અને આતંકવાદીઓએ માલીમાં હિંસા અને વિનાશ ફેલાવ્યો છે. આ આતંકવાદીઓ અલ-કાયદા અને ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે. આ દેશ હાલમાં સૈન્ય જન્ટાના નિયંત્રણમાં છે.
આ બધાની વચ્ચે ઈંધણ પુરવઠામાં વિક્ષેપ પણ માલી માટે સમસ્યા બની ગયો છે. જેના કારણે ત્યાં આર્થિક સંકટ ઉભું થયું છે. સત્તાધીશોએ શાળા બંધ કરવી પડી. તે જ સમયે, કૃષિ કાર્ય અને વીજળીનો ઉપયોગ મર્યાદિત રહ્યો છે. અમેરિકા, બ્રિટન અને જર્મની જેવા દેશોએ તેમના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. આ તમામને તાત્કાલિક માલી છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. સીએનએનના અહેવાલ મુજબ, જેએનઆઈએમએ આઈવરી કોસ્ટથી આવી રહેલી 100થી વધુ ઈંધણની ટ્રકોને આગ ચાંપી દીધી હતી. જેના કારણે તેમાંથી અડધો ભાગ નાશ પામ્યો હતો.

