વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ‘રાષ્ટ્રહિત માટે ઇંધણ બચત’ની અપીલને આરોગ્ય રાજ્ય મંત્રીશ્રીએ આવકારી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ભારત દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે. તાજેતરમાં પાટીદાર સમાજના એક સંમેલન દરમિયાન વડાપ્રધાનશ્રીએ દેશના નાગરિકોને ઇંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા કરેલી નમ્ર અપીલને રાજ્યના આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સહર્ષ સ્વીકારી રાષ્ટ્રહિતમાં એક પ્રેરણાદાયી નિર્ણય લીધો છે.
આ અંગે વધુ વિગતો આપતા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રત્યેક શ્વાસ રાષ્ટ્રના ઉત્થાન માટે હોય છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને યુદ્ધના માહોલ વચ્ચે ભારત પાસે તેલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં,જો આપણે ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ તો તે સીધી રીતે દેશની આર્થિક પ્રગતિમાં આપણી ભાગીદારી ગણાશે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “દેશના એક વફાદાર સૈનિક અને જવાબદાર નાગરિક તરીકે હું આ મિશનમાં સહભાગી થવા આજથી મારી સુરક્ષામાં રહેલી‘પાયલોટિંગ કાર‘નો ઉપયોગ સદંતર બંધ કરું છું. ભવિષ્યમાં માત્ર અત્યંત અનિવાર્ય કે આપાતકાલીન પરિસ્થિતિમાં જ આ પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં કરીશ તે અંગે હું ખાતરી આપું છું.

