Cow Slaughter Life Imprisonment: ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અમરેલીની સેશન્સ કોર્ટે ગૌવંશની હત્યાના કેસમાં એક ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે ગાયોની કતલ કરનારા ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા અને 18 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ચુકાદો ગૌવંશ કતલ કરનારા તત્ત્વો માટે લાલબત્તી સમાન છે.
શું હતી ઘટના?
આ ઘટના 6 નવેમ્બર 2023ના રોજ અમરેલી શહેરમાં બની હતી. પોલીસને બાતમી મળી હતી કે અમરેલીના બહારપરા વિસ્તારમાં આવેલા મોટા ખાટકીવાડ, કોળીવાડના નાકે રહેતો અક્રમ સોલંકી તેના રહેણાંક મકાનમાં ગાયોનું કતલ કરે છે. માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા કાસિમ સોલંકીની ઘટનાસ્થળેથી ધરપકડ કરી હતી, જ્યારે સત્તાર સોલંકી અને અક્રમ સોલંકી નાસી છૂટ્યા હતા. જો કે, બાદમાં પોલીસે તે બંને આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા.
પોલીસ તપાસમાં આરોપીના મકાનમાંથી પશુના કતલ કરેલા અવશેષો મળી આવ્યા હતા, જેના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અમરેલી સેશન્સ કોર્ટનો કડક નિર્ણય
હવે અમરેલી સેશન્સ કોર્ટે આ સમગ્ર મામલે સરકારી વકીલ ચંદ્રેશ મહેતાએ મજબૂત દલીલો અને પુરાવાઓ રજૂ કર્યા હતા. સેશન્સ કોર્ટના જજ રીજવાનાબેન બુખારી દ્વારા આ કડક સજા સંભળાવવામાં આવી. જેમાં પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 5 હેઠળ ત્રણેય આરોપીઓને આજીવન કારાવાસ અને દરેક આરોપી દીઠ 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ 5 માસની સજા ભોગવવી પડશે. આ ઉપરાંત, કલમ 6(ખ) હેઠળ 7 વર્ષની સજા અને દરેક આરોપી દીઠ 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે.
આમ અલગ અલગ કલમો હેઠળ ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા અને કુલ 18 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જે ગુજરાતના ઇતિહાસમાં ગૌવંશ કતલના કેસમાં આપવામાં આવેલો પ્રથમ આજીવન કેદનો ચુકાદો છે.

