આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે ઓપરેશન સિંદૂરને એક વિશ્વસનીય ઓર્કેસ્ટ્રા ગણાવ્યું હતું અને કહ્યું હતું કે દરેક સભ્યોએ સાથે મળીને અને સુમેળભર્યા રીતે તેની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે આ ઓપરેશન એટલી વિગતવાર અને ચોકસાઈથી હાથ ધરવામાં આવ્યું હતું કે અમે માત્ર 22 મિનિટમાં જ નવ આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા.
રાજધાની દિલ્હીમાં એક મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ ઓપરેશન એ પણ એક ઉદાહરણ છે કે સેનાએ કેવી રીતે ટૂંકા સમયમાં બદલાતી પરિસ્થિતિનો અંદાજ લગાવ્યો હતો. તેમણે કહ્યું, “ઓપરેશન સિંદૂર એક વિશ્વાસપાત્ર ઓર્કેસ્ટ્રા જેવું હતું, જેમાં દરેક સભ્યએ એકસાથે અને સુમેળમાં પોતાની ભૂમિકા ભજવી હતી. તેથી જ અમે 22 મિનિટમાં નવ આતંકવાદી લક્ષ્યોને નષ્ટ કરી શક્યા અને 80 કલાકમાં સંઘર્ષ ખતમ થઈ ગયો તેની ખાતરી કરી શક્યા. આ સૌથી મહત્ત્વનું હતું. અમારી પાસે નિર્ણય લેવાનો સમય નહોતો. આ શક્ય બન્યું કારણ કે અમે પરિસ્થિતિની અગાઉથી કલ્પના કરી લીધી હતી અને આખી ટીમને વિશ્વાસ હતો.”
નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. સેનાના જણાવ્યા અનુસાર આ હુમલામાં લગભગ 200 આતંકીઓ માર્યા ગયા હતા. આ પછી ભારતે પાકિસ્તાનને સંદેશો મોકલીને સ્પષ્ટ કર્યું હતું કે અમારું લક્ષ્ય હાંસલ થઈ ગયું છે, અમે આતંકવાદીઓને નિશાન બનાવ્યા છે. જોકે, પાકિસ્તાન પોતાની હરકતોથી હટ્યું ન હતું અને ભારત પર હવાઈ હુમલા શરૂ કરી દીધા હતા. આ પછી ભારતીય સેનાએ કાર્યવાહી કરી અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. 80 કલાક સુધી ચાલેલા આ સંઘર્ષ બાદ પાકિસ્તાની ડીજીએમઓએ ભારતીય સમકક્ષને ફોન કરીને યુદ્ધવિરામ માટે વિનંતી કરી હતી. આ પછી યુદ્ધવિરામ કરવામાં આવ્યો હતો.

