ઈન્ડિગો સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભામાં કહ્યું છે કે સરકાર આખા વર્ષ માટે એરક્રાફ્ટના ભાડા પર મર્યાદા લાદી શકે નહીં. નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ શુક્રવારે લોકસભામાં આ મામલે માહિતી આપતાં આ વાત કહી. તેમણે કહ્યું છે કે મોસમી વધઘટ અને માંગમાં ફેરફારને જોતા સરકાર આખા વર્ષ માટે કિંમતો નક્કી કરી શકતી નથી.
નોંધનીય છે કે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ઈન્ડિગોની હજારો ફ્લાઈટ્સ કેન્સલ થયા બાદ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સરકારે અંતર પ્રમાણે મહત્તમ હવાઈ ભાડું નક્કી કર્યા પછી પણ ટિકિટના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યાં તેની અસર હજુ પણ જોવા મળી રહી છે. સરકારે કટોકટીની તપાસ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે. આ સિવાય ઈન્ડિગોને તેની શિયાળાની ફ્લાઈટના સમયપત્રકમાં 10 ટકાનો ઘટાડો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું?
લોકસભામાં કેન્દ્રીય મંત્રી નાયડુએ જણાવ્યું હતું કે ઉચ્ચ માંગના સમયે હવાઈ ભાડા પરંપરાગત રીતે વધે છે અને મંત્રાલય માટે વાર્ષિક મર્યાદા લાદવી શક્ય નથી. “અમે આખા વર્ષ દરમિયાન ભાડા પર મર્યાદા લાદી શકતા નથી. તહેવારોની સિઝન દરમિયાન, માંગ વધે છે અને ભાડા વધે છે. અમે એરલાઇન્સને આ પીક સમયમાં તેમની ક્ષમતા વધારવા માટે કહ્યું છે,” તેમણે લોકસભામાં જણાવ્યું હતું.
નાયડુએ ભાડાને એડજસ્ટેબલ અને વાજબી રેન્જમાં રાખવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની પણ રૂપરેખા આપી હતી. આમાં એરલાઇન્સને સીટની ક્ષમતા વધારવા, ભીડવાળા રૂટ પર નવી ફ્લાઇટ્સ ઉમેરવા અને પેસેન્જર-સેફ્ટી ગાઇડલાઇન્સનું પાલન કરવાનો ઓર્ડર આપવાનો સમાવેશ થાય છે.
“એરલાઇન્સને પીક સીઝન દરમિયાન ક્ષમતા વધારવાની સલાહ આપવામાં આવી છે. વધુ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે અને ફ્લાઇટ રૂટ વિસ્તૃત કરવામાં આવ્યા છે,” તેમણે જણાવ્યું હતું. નાયડુએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે માંગ વધે ત્યારે મુસાફરો પાસે મુસાફરીના બહુવિધ વિકલ્પો હોય તેની ખાતરી કરવા મંત્રાલયે ફ્લાઈટ રૂટનો વિસ્તાર કર્યો છે અને સિસ્ટમમાં વધુ ફ્લાઈટ્સ લાવી છે.

