સુપ્રીમ કોર્ટે વિધવા મહિલાઓના પક્ષમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હિન્દુ દત્તક અને ભરણપોષણ અધિનિયમ 1956 હેઠળ, સસરાના મૃત્યુ પછી, વિધવા પુત્રવધૂ પણ તેમની મિલકતમાંથી ભરણપોષણનો દાવો કરી શકે છે. જસ્ટિસ પંકજ મિથલ અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠે સિવિલ અપીલ ફગાવી દેતાં કહ્યું હતું કે આ કાયદાની કલમ 21 (VII)માં વિધવા પુત્રવધૂનો પણ સમાવેશ થાય છે. સસરાના મૃત્યુ પહેલા પતિનું મૃત્યુ થયું હોય કે પછી, વિધવા પુત્રવધૂ તેની મિલકતમાંથી ભરણપોષણ મેળવવા હકદાર છે.
શું છે સમગ્ર મામલો
આ મામલો ડિસેમ્બર 2021માં મૃત્યુ પામેલા ડૉ. મહેન્દ્ર પ્રસાદના વારસદારો વચ્ચેનો હતો. ડૉ. મહેન્દ્ર પ્રસાદની પુત્રવધૂ ગીતા શર્મા તેમની મિલકતમાંથી ભરણપોષણની માગણી કરી રહી હતી. તેના પતિનું 2023 માં અવસાન થયું હતું. ફેમિલી કોર્ટે ભરણપોષણ આપવાનો ઇનકાર કરી દીધો હતો કે તેના સસરાના મૃત્યુ સમયે તેનો પતિ જીવતો હતો. જોકે, હાઈકોર્ટે ફેમિલી કોર્ટને તેમની જરૂરિયાત મુજબ ભરણપોષણ માટે સૂચના આપવા આદેશ કર્યો હતો. પરિવારના બાકીના સભ્યોએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ સભ્યોમાં ડૉ. પ્રસાદના બીજા પુત્રની વિધવા પુત્રવધૂ અને એક મહિલાનો પણ સમાવેશ થાય છે જે લાંબા સમયથી તેમના લિવ-ઇન પાર્ટનર હોવાનો દાવો કરે છે.
આ કાયદાની કલમ 21માં આશ્રિતોનો ઉલ્લેખ છે. તેની પેટા કલમ VIII જણાવે છે કે પુરુષના પુત્રની વિધવા પણ તેની મિલકતમાંથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે, સિવાય કે તેણી ફરીથી લગ્ન કરે. આ માટે શરત એ છે કે તેણી તેના પતિની મિલકતમાંથી અથવા તેના પુત્ર અથવા પુત્રીની મિલકતમાંથી ભરણપોષણ મેળવવામાં અસમર્થ હોવી જોઈએ.

