ઘૂસખોર પંડત: મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ તેના નામને લઈને વિવાદોમાં ફસાયેલી છે. નેટફ્લિક્સ પર રિલીઝ થનારી આ ફિલ્મના ટાઈટલ પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આરોપ છે કે ફિલ્મનું નામ બ્રાહ્મણ સમુદાય પ્રત્યે અપમાનજનક છે અને તેનાથી સમાજમાં ખોટો સંદેશ જઈ શકે છે.
આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ફિલ્મનું પહેલું પોસ્ટર જાહેર થતાં જ સોશિયલ મીડિયા પર વિરોધ શરૂ થયો હતો. વિવાદ વધતાં Netflixએ કોર્ટને કહ્યું કે ફિલ્મનું નામ બદલવામાં આવશે અને અગાઉ રિલીઝ કરવામાં આવેલ પ્રમોશનલ કન્ટેન્ટ પણ હટાવી દેવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે પૂછ્યું – નવું નામ શું છે?
જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે ફિલ્મના નિર્માતા અને નિર્દેશક નીરજ પાંડેને ફિલ્મનું નવું નામ જાહેર કરવા કહ્યું. આ માટે 12મી ફેબ્રુઆરી બપોર સુધીનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ નિર્માતાઓ સમયસર કોર્ટને કોઈ નવું નામ જણાવી શક્યા ન હતા.
આના પર નારાજગી વ્યક્ત કરતા જસ્ટિસ નાગરથનાએ કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા ચોક્કસપણે છે, પરંતુ તેની એક મર્યાદા છે. કોઈપણ સમુદાય કે વ્યક્તિને નિશાન બનાવીને આવું નામ રાખવું યોગ્ય નથી.
“સમાજમાં નફરત ફેલાવવાનો પ્રયાસ”
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે નિર્માતાઓને સખત ઠપકો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે આવા ટાઇટલથી સમાજમાં નફરત ફેલાવવાનું જોખમ રહેલું છે અને કોર્ટ તેને મંજૂરી આપી શકે નહીં. જસ્ટિસ નાગરથનાએ સ્પષ્ટ કહ્યું કે જો એ સાબિત ન થાય કે આ ભૂલ અજાણતાં થઈ હતી, તો ફિલ્મની રિલીઝ અટકાવી શકાય છે.
નિર્માતાઓએ કહ્યું કે તેઓ ફિલ્મનું નામ બદલવાની તૈયારીમાં છે. તેના પર કોર્ટે કહ્યું કે આ રીતે વારંવાર અલગ-અલગ સમુદાયોને નિશાન બનાવવું ખોટું છે. કોર્ટે એમ પણ કહ્યું કે તે માત્ર ફિલ્મની ચિંતા નથી, પરંતુ દેશની એકતા, કાયદો અને વ્યવસ્થા અને સામાજિક સંતુલનની ચિંતા કરે છે.

