પાકિસ્તાન અધિકૃત ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં તાજેતરમાં થયેલી હિંસક ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. 28 ફેબ્રુઆરીના રોજ, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની યુએસ-ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. આ સમાચાર ફેલાતા જ ગિલગિટ અને સ્કર્દુમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા. આ પ્રદર્શનો યુ.એસ. અને ઈઝરાયેલ વિરોધી હતા, જેમાં ઈરાન તરફી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંક સમયમાં તે હિંસક બની ગયા હતા. વિરોધીઓએ સરકારી ઈમારતો, યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી)ની ઓફિસ, પોલીસ અધિક્ષકની ઓફિસ અને એક ખાનગી હોટલને આગ ચાંપી દીધી હતી. જ્યારે પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ, ત્યારે સુરક્ષા દળોએ ભીડને વિખેરવા માટે ગોળીબાર કર્યો, જેમાં 13 લોકો માર્યા ગયા. મૃતકોમાં 6 નાના બાળકોનો સમાવેશ થાય છે.
ફાયરિંગ બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. દાન્યોર ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેઓએ પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને વડાપ્રધાન શાહબાઝ શરીફ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ લોકોએ ‘આસીમ મુનીર મુર્દાબાદ’ અને ‘શાહબાઝ શરીફ મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા. દેખાવકારોએ સૈન્ય પર નાગરિકો, ખાસ કરીને બાળકો પર સીધા ગોળીબાર કરવાનો આરોપ મૂક્યો અને તેને દમનકારી કાર્યવાહી ગણાવી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સૂત્રોચ્ચાર અને ગુસ્સે ભરાયેલી ભીડ સ્પષ્ટપણે દેખાઈ રહી છે, જેણે આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચ્યું છે.
ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં તણાવ ચરમ પર છે
ઘણા યુઝર્સે બાળકોના મોત પર દુખ વ્યક્ત કર્યું અને દુનિયાને તેના પર ધ્યાન આપવાની માંગ કરી. આ ઘટના બાદ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. બાલ્ટિસ્તાનના ઘણા વિસ્તારોમાં બજારો બંધ હતા, રસ્તાઓ પર વાહનવ્યવહાર થંભી ગયો હતો અને જુદા જુદા વિસ્તારોમાંથી ગોળીબારના અવાજો સંભળાયા હતા. હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે અને ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે, જ્યારે મુખ્ય સ્થળોએ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

