મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાને મોટો નિર્ણય લીધો છે. તહેરાને જાહેરાત કરી છે કે હવે માત્ર ચીનના જહાજોને જ આ મહત્વપૂર્ણ જળમાર્ગ પરથી પસાર થવા દેવામાં આવશે. ઇરાને બેઇજિંગના મજબૂત સમર્થન અને યુદ્ધ દરમિયાન તેની સાથે ઊભા રહેવા બદલ આભાર માનીને આ પગલું ભર્યું છે.
ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)ના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે અન્ય દેશોના જહાજો, ખાસ કરીને પશ્ચિમી દેશોના ટેન્કરો અને તેમના સહયોગીઓને આ માર્ગ પરથી પસાર થવા દેવામાં આવશે નહીં. ઉલ્લંઘન કરનારા જહાજોને નિશાન બનાવી શકાય છે. ઈરાનના આ નિર્ણયથી ભારતને મોટો ફટકો પડ્યો છે, કારણ કે ભારત તેની મોટાભાગની તેલ જરૂરિયાતો ખાડી દેશોમાંથી હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા જ પૂરી કરે છે. વૈશ્વિક તેલ પુરવઠાના 20 ટકાથી વધુ આ સાંકડી સામુદ્રધુનીમાંથી પસાર થાય છે.
અગાઉ, ઈરાનના IRGCએ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ પર ‘સંપૂર્ણ નિયંત્રણ’ હોવાનો દાવો કર્યો હતો. ઈરાની સમાચાર એજન્સી ‘ફાર્સ’ અનુસાર, IRGC નેવીના અધિકારી મોહમ્મદ અકબરઝાદેહે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હાલમાં સંપૂર્ણપણે ઈસ્લામિક રિપબ્લિકની નૌકાદળના નિયંત્રણમાં છે. ઈરાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આ ક્ષેત્રમાં તણાવ ચરમ પર છે અને ક્રૂડ ઓઈલ અને ગેસની કિંમતો વધવા લાગી છે.
તે જ સમયે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો મધ્ય પૂર્વમાં જહાજોની સુરક્ષા માટે જરૂર પડશે તો યુએસ નેવીને તૈનાત કરવામાં આવશે અને ઊર્જા પુરવઠો જાળવવા માટે શિપિંગ કંપનીઓને ‘વાજબી કિંમતે’ જોખમ વીમો પણ પ્રદાન કરવામાં આવશે. ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠાને લઈને ચિંતા વધી ગઈ છે.

