યમનમાં સંઘર્ષ રવિવારે વધુ તીવ્ર બન્યો જ્યારે યમનની સરકારી દળોએ લાલ સમુદ્ર નજીક ઈરાન સમર્થિત હુથી બળવાખોરો પર હુમલો કર્યો. તે જ સમયે, હુથિઓએ મિસાઇલો અને ડ્રોન વડે સાઉદી અરેબિયાને નિશાન બનાવ્યું. સાઉદી અરેબિયા યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારને સમર્થન આપે છે, જે હુથીઓ સામે લડી રહી છે. ગયા અઠવાડિયે કારમી હારનો સામનો કર્યા બાદ યમનની સરકારે લાલ સમુદ્રના કિનારે વધુ સૈનિકો મોકલવાનું વચન આપ્યું છે.
ગયા અઠવાડિયે હુથિઓએ મોખા, એક મહત્વપૂર્ણ બંદર શહેર અને બાબ અલ-મંડેબ સ્ટ્રેટના એક ટાપુ પર કબજો કર્યો. બાબ અલ-મંડેબ સ્ટ્રેટ હોર્મુઝ સ્ટ્રેટના વિકલ્પ તરીકે એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. હુથીઓના આ વધારાથી બજારોમાં ચિંતા વધી છે. યમનના સામાન્ય નાગરિકોને ડર છે કે દેશ વિનાશક ગૃહયુદ્ધ તરફ પાછો ફરી શકે છે. રાત્રે, હુથિઓએ મિસાઇલો અને ડ્રોન વડે સાઉદી અરેબિયા પર વધુ હુમલા કરવાનો દાવો કર્યો. હુતી સૈન્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સરરીએ એક નિવેદનમાં દાવો કર્યો હતો કે તેઓએ સાઉદી અરેબિયામાં એક સૈન્ય મથકને નિશાન બનાવ્યું હતું. તેણે આ અંગે કોઈ પુરાવા આપ્યા નથી અને હુમલો ક્યારે થયો તે પણ જણાવ્યું નથી.
સાઉદી નાગરિક સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે યમનની સરહદ નજીક એક મિસાઇલ લાલ સમુદ્રમાં પડી હતી, જેમાં બે લોકો ઘાયલ થયા હતા અને એક મસ્જિદ અને અન્ય ઘણી ઇમારતોને નુકસાન થયું હતું. નિવેદનમાં આ માટે હુથીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. સાઉદી અરેબિયા તરફથી રવિવારે હુથિઓને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલા અંગે કોઈ નિવેદન આવ્યું નથી. તાજેતરમાં જાહેર કરાયેલી નાકાબંધીના ભાગરૂપે હુથિઓ સાઉદી ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જહાજો પર હુમલો કરી રહ્યા છે.
બીજી બાજુ, પાકિસ્તાને રવિવારે હુથી વિદ્રોહીઓના તાજેતરના હુમલાઓ પછી સાઉદી અરેબિયા પ્રત્યે સંપૂર્ણ એકતા વ્યક્ત કરી હતી. સાથે ચેતવણી આપી છે કે આ હુમલાઓ પ્રાદેશિક સુરક્ષા અને વૈશ્વિક ઉર્જા પુરવઠા માટે ખતરો છે. પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, વડા પ્રધાન શેહબાઝ શરીફ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાતચીત દરમિયાન આ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. પાકિસ્તાનની આ પ્રતિક્રિયા ઈરાકથી હુથી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલા બાદ આવી છે, જેના કારણે સાઉદી અરેબિયાએ તેની 1,200 કિલોમીટર લાંબી ‘ઈસ્ટ-વેસ્ટ’ ઓઈલ પાઈપલાઈનને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે.
