નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસે પશ્ચિમ બંગાળ સરકારને કેન્દ્રીય પછાત વર્ગ (ઓબીસી)ની યાદીમાં પશ્ચિમ બંગાળની 87 જાતિઓનો સમાવેશ કરવા માટે નોટિસ જારી કરી છે. પંચે પશ્ચિમ બંગાળ સરકારના મુખ્ય સચિવ, પછાત વર્ગ કલ્યાણ વિભાગના સચિવ અને સાંસ્કૃતિક સંશોધન સંસ્થાનના નિયામકને નોટિસ પાઠવી છે અને તેમને તમામ દસ્તાવેજો સાથે 3 નવેમ્બરે સવારે 11 વાગ્યે પંચ સમક્ષ બોલાવ્યા છે. આયોગના અધ્યક્ષ હંસરાજ ગંગારામ આહિર આ મામલે 3 નવેમ્બરે સુનાવણી કરશે. પંચનું કહેવું છે કે રાજ્ય સરકાર હિંદુ ધર્મ છોડીને અન્ય ધર્મમાં પરિવર્તિત થયેલા જૂથોની વંશાવળી અંગેના દસ્તાવેજો પ્રદાન કરવામાં સક્ષમ નથી. પશ્ચિમ બંગાળ સરકાર પર બાંગ્લાદેશના મુસ્લિમો અને રોહિંગ્યાઓને OBC આરક્ષણ સૂચિમાં સામેલ કરવાનો આરોપ છે…
પંચના અધ્યક્ષ હંસરાજ આહિરે બંગાળની મુલાકાત બાદ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા આટલી બધી મુસ્લિમ જાતિઓને ઓબીસીનો દરજ્જો આપવા પાછળ તુષ્ટિકરણની રાજનીતિ છે અને અનામત તુષ્ટિકરણની રાજનીતિ માટે નહીં પણ લાયક લોકો માટે હોવી જોઈએ. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળના ઓબીસીની રાજ્ય યાદીમાં સામેલ 87 ઓબીસીના ગેઝેટિયર અને વંશાવળી ઉપલબ્ધ કરાવવામાં આવે. આ ઉપરાંત ઓબીસીની રાજ્ય યાદીમાં સમાવિષ્ટ એવા તમામ ઓબીસીના ગેઝેટિયર્સ અને વંશાવળી ઉપલબ્ધ કરાવવી જોઈએ જેઓ પહેલા હિંદુ હતા અને બાદમાં મુસ્લિમ બન્યા હતા. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2023માં કોલકાતામાં આયોજિત રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની સમીક્ષા બેઠકમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ રાજ્યની યાદીમાં સામેલ 179 OBC જાતિઓમાંથી 118 મુસ્લિમ OBC જાતિઓ છે અને માત્ર 61 હિંદુ ઓબીસી જાતિઓ.