PM મોદી UAE પહોંચ્યા, રાષ્ટ્રપતિ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય સંબંધો પર વાતચીત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાતની એક દિવસીય મુલાકાતે આજે અબુ ધાબી પહોંચ્યા. આ દરમિયાન તેઓ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળશે. બંને વ્યૂહાત્મક ભાગીદારો વચ્ચે વધતા દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે.
પ્રધાનમંત્રી પેરિસની બે દિવસની સફળ મુલાકાત પછી અબુ ધાબી પહોંચ્યા, જ્યાં તેઓ બેસ્ટિલ ડે પરેડમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે અતિથિ વિશેષ તરીકે જોડાયા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા.
પીએમ મોદી UAEના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ અલ નાહયાન સાથે વાતચીત કરશે. નરેન્દ્ર મોદીની આ મુલાકાત ઉર્જા, ખાદ્ય સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ દરમિયાન બંને દેશો ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરશે.
ભારતીય વિદેશી સમુદાય યુએઈમાં સૌથી મોટો વંશીય સમુદાય છે, જે દેશની વસ્તીના લગભગ 30 ટકા હિસ્સો ધરાવે છે. UAEના રેકોર્ડ મુજબ, 2021 માં નિવાસી ભારતીય નાગરિકોની સંખ્યા 3.5 મિલિયન હોવાનો અંદાજ છે.