સુરતઃ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પરબ ગામમાં આજે સવારે એક જર્જરિત મકાન ધરાશાયી થતાં એક શ્રમિક પરિવાર કાટમાળ નીચે દટાઈ ગયો હતો. આ ઘટનામાં પરિવારની 12 વર્ષની બાળકીનું મોત થયું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ પરબ ગામના ગિરનાર ફળિયામાં રહેતા અને ખેતરમાં મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા ભીખુભાઈ રાઠોડ આજે સવારે પોતાના પરિવાર સાથે પોતાના ઘરે સુતા હતા. દરમિયાન સવારે 6 વાગ્યાના સુમારે તેમનું માટીનું મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું, જેમાં ભીખુભાઈ, તેમના પત્ની આશાબેન, 12 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
આ વાતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એક પછી એક પરિવારના સભ્યોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. જેમાંથી 12 વર્ષની પુત્રીને માથામાં ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પુત્રને પણ ઇજા થતાં તેને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.