સુરતઃ સુરતના કડોદરા વિસ્તારમાં રહેતા 19 વર્ષના વિદ્યાર્થીએ ઘરે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. આત્મહત્યા કરતા પહેલા તેણે તેના ઈન્સ્ટાગ્રામ આઈડી પર લખ્યું હતું ‘બાય બાય ઓલ ફ્રેન્ડ્સ, આજે મારો છેલ્લો દિવસ છે, તમે મને ફરી ક્યારેય નહીં જોઈ શકો’. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ મૂળ બિહારના અને હાલ સુરત જિલ્લાના કડોદરા ખાતે રહેતા રામપ્રવેશ કામેશ્વર પ્રસાદ ભૂમિહાર મિલમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરી પરિવારનું ધ્યાન રાખે છે. તેનો 19 વર્ષનો પુત્ર આયુષ કુમાર જે ધોરણ 12માં અભ્યાસ કરતો હતો તેણે ઘરમાં જ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. મૃતક વિદ્યાર્થીએ થોડા દિવસો પહેલા 12માની પરીક્ષા આપી હતી.
ગઈકાલે તેણે ઘરમાં પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. પુત્રને લઈને સ્વજનો હોસ્પિટલ પહોંચ્યા પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મૃતક વિદ્યાર્થીની એક બહેન પણ છે. આત્મહત્યા પહેલા તે ડિપ્રેશનમાં હોય તેવું લાગી રહ્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું ‘મારા બધા મિત્રોને ગુડબાય, બધા પ્રેમ અને સંભાળ માટે આભાર આજે મારો છેલ્લો દિવસ છે, તમે મને ફરી ક્યારેય નહીં જોઈ શકો’. આ અંગે કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.