અમદાવાદમાં ભીષણ આગ અમદાવાદના બાપુનગરમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આજે બપોરે ભીષણ આગ લાગી હતી. વિકાસ એસ્ટેટ નામના કારખાનામાં લાગેલી આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી ફાયર વિભાગ દ્વારા મોટો કોલ જાહેર કરવામાં આવ્યો છે. 20થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. મળતી માહિતી મુજબ આ આગમાં લગભગ 25 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે.
પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ બાપુનગરમાં અનિલ સ્ટાર્ચ મિલ રોડ પર સંજયનગર ટેરેસની સામે વિકાસ એસ્ટેટમાં ફટાકડાનું માર્કેટ આવે છે. ફટાકડા માર્કેટમાં આજે બપોરે આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટના અંગે આસપાસના લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફટાકડા બજારને કારણે આગ વધુ પ્રસરી હતી.
આગ સતત ફેલાઈ રહી હોવાથી ફાયર વિભાગ દ્વારા મોટી કોલ જાહેર કરવામાં આવી છે. 20 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગને વધુ પ્રસરે નહીં તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટનાની માહિતી મળતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સહિત અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે.