હરિયાણાના કરનાલમાં એક મોટો અકસ્માત થયો છે. તરવાડીમાં મંગળવારે વહેલી સવારે શિવ શક્તિ રાઇસ મિલની ત્રણ માળની ઇમારત ધરાશાયી થઇ હતી. આ અકસ્માતમાં ચાર મજૂરોના મોત થયા હતા, જ્યારે 20 ઘાયલ થયા હતા. અકસ્માત થયો ત્યારે બિલ્ડિંગમાં ઘણા મજૂરો સૂતા હતા, તે બધા કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.માહિતી મળી છે કે રાઇસ મિલની ત્રણ માળની ઇમારતમાં 200 મજૂરો રહેતા હતા. બિલ્ડિંગ ધરાશાયી થયાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ, એમ્બ્યુલન્સ અને સામાજિક સંસ્થાઓ ઘટનાસ્થળે પહોંચી હતી. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી અને કાટમાળમાંથી મજૂરોને બહાર કાઢ્યા. હાલમાં, બિલ્ડિંગ ધરાશાયી થવાના કારણો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
એસપી કરનાલ શશાંક કુમારે કહ્યું કે ખૂબ જ દુઃખદ ઘટના બની છે, કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાસ્થળે પહોંચીને અમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે, ડોક્ટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી રહી છે. અત્યાર સુધીની માહિતીમાં જાણવા મળ્યું છે કે 20 ઘાયલ છે અને 4ના મોત થયા છે. કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. કમિટીના રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.એસપી કરનાલ શશાંક કુમારે કહ્યું કે વળતર આપવામાં આવશે. અહીં માત્ર મજૂરો રહેતા હતા. ગુમ થયેલા લોકોના મૃતદેહ મળી આવ્યા છે. ઘાયલોની હાલત સામાન્ય છે.