નેપાળમાં બુધવારના વિનાશક પૂરના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે રવિવારે ફરી એકવાર નવા પૂરનો ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. ભોતેકોશી નદીનું જળસ્તર વધ્યા બાદ અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. રવિવારે સવારે મોબાઈલ ફોન પર પૂરની ચેતવણી મોકલવામાં આવી હતી. બચાવ ટુકડીઓ કાઠમંડુને અસરગ્રસ્ત વિસ્તારો સાથે જોડતા હાઈવેને સાફ કરવામાં વ્યસ્ત છે. નેપાળની ડિઝાસ્ટર એજન્સીએ રવિવારે મૃત્યુઆંક 788 અને ગુમ થયેલા લોકોની સંખ્યા 2,502 પર દર્શાવી છે. ચીનમાં 16 લોકોના મોત અને 546 લોકો ગુમ છે.
ધાડીંગમાં તબાહીનું દ્રશ્ય ભયાનક છે. ઘણા લોકો તેમના નાશ પામેલા ઘરોમાં પાછા ફર્યા છે અને કાટમાળ અને કાદવ વચ્ચે બાકીની વસ્તુઓની શોધ કરી રહ્યા છે. મકાનોની દિવાલો ધોવાઈ ગઈ છે અને વીજ થાંભલા અને વાયરો કાદવમાં ફસાઈ ગયા છે. કેટલાક લોકો કાદવમાં દટાયેલો સામાન બહાર કાઢી રહ્યા છે. એક વ્યક્તિ જીવિત મળી આવેલી મરઘીઓને લઈને ટ્રક પાસે પહોંચ્યો. એક મહત્વપૂર્ણ પાવર પ્લાન્ટને પણ ખરાબ રીતે નુકસાન થયું છે, જેના કારણે ચાર જિલ્લાના 20 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. ગલછીમાં, લોકો ઊંચા સ્થળોએથી નદીના જોરદાર પ્રવાહને જોઈ રહ્યા છે. અનેક પુલ તૂટવાને કારણે અવરજવર મુશ્કેલ બની છે.
નદીના ઉપરના ભાગમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો
અધિકારીઓના જણાવ્યા અનુસાર ચીને નદીના ઉપરના ભાગમાં પાણીનો પ્રવાહ વધવાના અહેવાલ આપ્યા બાદ ચેતવણી જારી કરવામાં આવી હતી. અસરગ્રસ્ત ગામોના લોકો સતત ચેતવણીઓથી પરેશાન છે. પરિવારજનોને રાત્રે પણ ઉંચા સ્થળોએ જવું પડે છે. ધાડિંગના રહેવાસી ગોવિંદ શ્રેષ્ઠે જણાવ્યું કે તેમના 72 વર્ષીય પિતા અને 70 વર્ષીય માતા છે, જેમને જરૂર પડ્યે તેમને જાતે લઈ જવા પડે છે. હિમાલય વિસ્તારમાં ગ્લેશિયર તૂટ્યા બાદ પૂર આવ્યું હતું. વૈજ્ઞાનિકોના મતે, ગ્લેશિયરની નીચે ખડકો ધસી જવાને કારણે મોટો ભાગ તૂટી ગયો હતો અને ખડકો અને પીગળેલા પાણીને કારણે નદીઓમાં ભારે ઉછાળો આવ્યો હતો.

