બનાસકાંઠા જિલ્લામાં “સ્વતંત્રતાના અમૃત મહોત્સવ” અંતર્ગત “મારી માટી-મારો દેશ” કાર્યક્રમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. કાર્યક્રમના ત્રીજા દિવસે યાત્રાધામ અંબાજી દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. જે મુજબ અંબાજી ગ્રામ પંચાયતના ગ્રામ્ય પ્રમુખ અને કર્મચારીઓએ દેશભક્તિના વાતાવરણમાં “મારી માટી-મારો દેશ” અભિયાનની ઉજવણી કરી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ માટીને દેશભક્તિના રંગે રંગીને પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી. જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે “મારી માટી, મારો દેશ” કાર્યક્રમમાં પંચાયતના અધિકારીઓ, પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો અને બાળકો સહિત ગ્રામજનોએ ભાગ લીધો હતો. તેમણે દેશ માટે બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. અંબાજી હાઈસ્કૂલ ખાતે સ્થાનિક આગેવાનો, મહાનુભાવો તેમજ અધિકારીઓ અને બાળકોએ શિલાફળકામનું પૂજન અને અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોએ હાથમાં દીવા સાથે પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી અને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધતાના શપથ લીધા હતા. તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દેશની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આજે યાત્રાધામ અંબાજી ગામે દેશભક્તિની ભાવના સાથે “મારી મારી-મારો દેશ” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.