શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું પવિત્ર તીર્થસ્થાન છે. યાત્રાધામ અંબાજી કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે હજારો માઇ ભક્તો અંબાજી આવે છે અને માતા જગતજનની અંબાના ચરણોમાં વંદન કરે છે અને આશીર્વાદ લે છે. અંબાજીમાં નાના-મોટા અનેક મંદિરો આવેલા છે. ત્યારે કોઈપણ તહેવાર કે ઉત્સવના પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવે છે. અંબાજીમાં નાગ પંચમીના દિવસે ગોગા મહારાજ મંદિરે વિશેષ પૂજા-અર્ચના સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
અંબાજી ગબ્બર રોડ સ્થિત ગોગા મહારાજના મંદિરને આજે નાગ પંચમીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ સાથે ગોગા મહારાજની વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી. આજે ગોગા મહારાજના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ગોગા મહારાજના મંદિરે પહોંચ્યા હતા. નાગ પંચમીના દિવસે ગોગા મહારાજના પૂજારીઓ અને ભક્તો સાથે ગ્રામજનો શોભાયાત્રામાં જોડાયા હતા. ગોગા મહારાજના મંદિરેથી નીકળેલી શોભાયાત્રા અંબાજીના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.