ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર વિશે મોટી ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું, ‘અમેરિકાએ વિચાર્યું હતું કે તે માત્ર 24 કલાકમાં ઈરાનની સરકારને ઉથલાવી દેશે અને પોતાની પસંદગીની સરકાર બનાવશે, પરંતુ તેની યોજના સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ.’ ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં પેજેશકિયાને કહ્યું કે અમેરિકાએ ઈરાનની તાકાત અને તેના લોકોના મનોબળને ઓછો આંક્યો છે. અમેરિકાએ આશા વ્યક્ત કરી હતી કે દેશના નેતાઓ, સૈન્ય કમાન્ડરો અને મહત્વના ટાર્ગેટ પર થયેલા હુમલા બાદ લોકો શાંત થઈ જશે અને સરકાર સામે ઉભા થઈ જશે. પણ થયું ઊલટું. હુમલા બાદ સરકાર અને દેશની એકતાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
મસૂદ પેજેશ્કિયાને કહ્યું કે અમેરિકાએ ઈરાનના મામલે વેનેઝુએલા જેવો રસ્તો અપનાવવાનો પ્રયાસ કર્યો. તેમને લાગ્યું કે 24 કલાકની અંદર તેઓ દેશનો કબજો સંભાળી શકશે અને પોતાની પસંદગીની સરકાર બનાવી શકશે. તેમણે કહ્યું કે અમેરિકાને પણ સીરિયા જેવી સ્થિતિ ઉભી થવાની અપેક્ષા હતી. તેમણે આગાહી કરી હતી કે ઈરાનના સર્વોચ્ચ નેતા, લશ્કરી કમાન્ડરો અને વરિષ્ઠ અધિકારીઓના મૃત્યુ પછી સરકાર નબળી પડી જશે અને થોડા દિવસોમાં સત્તા પરિવર્તન થશે. પરંતુ આવું ન થયું.
સંઘર્ષે એકતાને મજબૂત કરી: પેજેશ્કિયન
ઈરાનના રાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર હુમલા બાદ ઈરાનના લોકો વધુ એક થઈ ગયા હતા. અગાઉ સરકારથી નારાજ થયેલા લોકોએ પણ દેશની ધરતી અને તેની એકતાની રક્ષા માટે સરકારને ટેકો આપ્યો હતો. પેજેશ્કિયને કહ્યું કે સંઘર્ષે દેશની અંદર એકતાને વધુ મજબૂત બનાવી છે. તેમણે દાવો કર્યો હતો કે વિદેશમાં રહેતા કેટલાક ઈરાનીઓ પણ હુમલા બાદ તેમના દેશમાં પરત ફર્યા હતા. ઈરાનની સરકાર, સેના અને લોકોએ સાથે મળીને અમેરિકન દબાણનો સામનો કર્યો.

