જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો
આણંદના સામરખા ગામે શુક્રવારે રાત્રે આઠ વાગ્યાના સુમારે કલ્પેશભાઈ ચૌહાણ નામના યુવક પર ધાર્મિક યુવકોએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ઘટના બાદ ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને આગચંપી જેવી સ્થિતિ સર્જાઈ હતી. હવે ગામ સંપૂર્ણપણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને સમગ્ર પરિસ્થિતિ પોલીસના નિયંત્રણમાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના સામરખા ગામમાં મહાકાળી ચોક માતાજીના મંદિર પાસે બની હતી, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. સામરખામાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાના મુદ્દે બબાલ અને તિરંગા રેલી વચ્ચે થયેલી મારામારી બાદ મુસ્લિમ યુવકોએ હિન્દુ યુવક પર હુમલો કર્યો હોવાની લોકમુખે ચર્ચા છે.