ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં એવો જોરદાર વિસ્ફોટ કર્યો કે આસપાસના વિસ્તારોની ધરતી ધ્રૂજી ઊઠી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.1 નોંધવામાં આવી હતી. અહેવાલ મુજબ, હિઝબુલ્લાહે અલી અલ તાહિરમાં ભૂગર્ભમાં પોતાનો અડ્ડો સ્થાપ્યો હતો. ઈઝરાયેલે જોરદાર વિસ્ફોટ કરીને હિઝબુલ્લાહની ટનલને નષ્ટ કરી દીધી. USGS અનુસાર, વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આ ભૂકંપ વિસ્ફોટના કારણે થયો હતો કે કુદરતી કારણોસર.
બે કિલોમીટર લાંબી ટનલ
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ દાવો કર્યો હતો કે બે દાયકા પહેલા હિઝબુલ્લાહ દ્વારા બનાવવામાં આવેલી વિશાળ ટનલ નષ્ટ થઈ ગઈ છે. અહીંથી જ હિઝબુલ્લાહ આયોજન અને ભંડોળનું કામ જોતું હતું. ઈઝરાયેલે દાવો કર્યો હતો કે લગભગ 2 કિલોમીટર લાંબી આ સુરંગમાં રોકેટ, મિસાઈલ, ડ્રોન, એન્ટી ટેન્ક મિસાઈલ, મશીનગન અને દારૂગોળો રાખવામાં આવ્યો હતો. ઈઝરાયેલે કહ્યું કે આ સુરંગમાં હિઝબુલ્લાહનો એક વરિષ્ઠ કમાન્ડર પણ રહેતો હતો.
ઈઝરાયેલે કહ્યું કે વિસ્ફોટ પહેલા હિઝબુલ્લાહના ઘણા લડવૈયાઓ ભાગી ગયા હતા. જેઓ સુરંગમાં રહી ગયા હતા તેઓ માર્યા ગયા હતા. ઈઝરાયેલે કહ્યું કે હિઝબુલ્લાહને ફરીથી આ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાથી રોકવા માટે આ વિસ્તારમાં તૈનાતી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ બોર્ડરથી અલી-અલ-તાહિરનું અંતર માત્ર 15 કિલોમીટર છે. અહીંથી હિઝબુલ્લા ઈઝરાયેલ પર હુમલો કરે છે.
થોડા દિવસો પહેલા, ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો હતો કે તેણે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અલી તાહેર ટેકરી પર “કબજો” કરી લીધો છે. આ ટેકરી અનેક ગામડાઓ તેમજ નાબાતીહ શહેર તરફ જતા મુખ્ય રસ્તાઓ પર નજર રાખવા માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે.
